ઉત્તરપ્રદેશના કાનપુરના સચેન્ડીમાં મંગળવારે એક મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં લગભગ 17 લોકોનાં મોત થયાં હોવાના સમાચાર મળી રહ્યા છે. તો 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 16ની સ્થિતિ ગંભીર ગણાવવામાં આવી રહી છે. તેમને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ પણ ઓછી પડી છે.
ઈજાગ્રસ્તોને લોડરની મદદથી જ હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. હાલ અનેક લોકો દબાયા ગયા હોવાની માહિતી મળી રહી છે, જેને કાઢવાના પ્રયાસો થઈ રહ્યાં છે. દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે દુર્ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે.
મળતી માહિતી મુજબ, જય અંબે ટ્રાવેલ્સની સ્લીપર બસ કાનપુરથી ગુજરાતના અમદાવાદ જઈ રહી હતી, જેમાં લગભગ 45 લોકો સવાર હતા. કાનપુરથી 10 કિલોમીટર દૂર જેવી બસ કિસનનગર પહોંચી કે પાછળથી એક DCMએ ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન સામેથી આવી રહેલા ટેમ્પો વચ્ચે ફસાઈ ગઈ અને આ દુર્ઘટના ઘટી હતી. ટેમ્પોમાં સવાર તમામ લોકોનાં મોત થયાં હોવાના સમાચાર છે. આ ઉપરાંત બસમાં સવાર કેટલાક લોકોનાં મોત નીપજ્યાં છે.
ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે ઘાયલોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત લોડરમાં ભરીને અનેક મૃતદેહ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. એક લોડરમાં 7-7 મૃતદેહ રાખીને હેલટ હોસ્પિટલ લઈ જવાયા. આવા કરુણ દૃશ્યો જોઈને દરેક લોકો હલમચી ગયા હતા. હેલટ હોસ્પિટલ દ્વારા અલર્ટ જાહેર કરાયું છે. ડોકટર્સ અને મેડિકલ સ્ટાફને ઘરેથી પરત બોલાવવામાં આવ્યા છે.
દુર્ઘટનાના સમાચાર મળતાં જ બસ અને ટેમ્પોમાં સવાર યાત્રિકોના પરિવારના લોકો હેલટ હોસ્પિટલ પહોંચી ગયા છે. એક વૃદ્ધા પોતાના પુત્રની લાશ સ્ટ્રેચર પર જોઈને બેભાન થઈ ગયાં હતાં. વારંવાર વૃદ્ધા ડોકટરને પૂછતાં રહ્યાં કે મારો પુત્ર ઠીક તો થઈ જશે ને. ડોકટરે કફન ઓઢાડ્યું તો વૃદ્ધા વારંવાર પુત્રના માથાને ચૂમતાં રહ્યાં. આ દૃશ્યો જોઈને ત્યાં હાજર દરેક લોકોની આંખ છલકાઈ ગઈ હતી.
કાનપુરના સચેન્ડીમાં થયેલા માર્ગ અકસ્માતમાં CM યોગીએ દુઃખ વ્યક્ત કર્યું છે. વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સંભવિત મદદ કરવાનું કહ્યું છે. મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
From – Banaskantha update