પાકિસ્તાનની સરહદને અડીને આવેલાં બનાસકાંઠાં જિલ્લામાં પાણીના તળ ઉંડા જતાં પાણી માટે લોકો વલખાં મારતાં હોય છે. ત્યારે ધાનેરા તાલુકાના આલવાડા ગામે ભૂરાભાઈ રાજગોર નામના ખેડૂતે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ખેતરમાં એક ખેત તલાવડી બનાવી છે. જે 140 x140 પહોળી અને 26 ફુટ ઊંડી છે. ખેડૂતના જણાવ્યા પ્રમાણે આ તલાવડીમાં એક કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે.
બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં કુવા અને બોરના તળ ઊંડા જવાથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, કેટલાક ખેડૂતો પોતાની સૂઝબૂઝથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી પાણીના સંગ્રહ માટે કંઇને કંઇ કરતાં હોય છે. ત્યારે ધાનેરા તાલુકાના આલવાડા ગામના ખેડૂત ભૂરાભાઈ રાજગોરે એક તલાવડી બનાવી છે. જેમાં એક કરોડ લીટર પાણીનો સંગ્રહ થઇ શકે છે. જે આવતાં બાર મહિના સુધી પોતાના ખેતરના પાકમાં પિયત માટે ઉપયોગ કરી શકશે.
આ અંગે ખેત તલાવડી બનાવનાર ખેડૂત ભૂરાભાઈ રાજગોરે જણાવ્યું હતું કે, અમે ખેતી અને પશુપાલનથી સંકળાયેલા છીએ મારા ખેતરમાં એક ખેત તલાવડી બનાવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી રાજસ્થાનમાં જોયું અને મહારાષ્ટ્રમાં જોયું કે, લોકો ખેત તલાવડી બનાવીને પિયત કરે છે. જેથી મને પણ વિચાર આવ્યો કે હુ પણ આવી તલાવડી બનાવુ. જેથી મે મારા ભાગીદાર દેવાભાઈને વાત કરી કે આપણે પણ ખેત તલાવડી બનાવીએ અને પિયત કરીએ જમીન પણ પડી છે.
ભૂરાભાઈએ વધુમાં જણાવ્યું કે, દેવાભાઈને વાત કર્યા બાદ અમે ત્રણ મહિના મહેનત કરી જે.સી.બી અને ટ્રેક્ટરની મદદથી આઠ લાખ રૂપિયાના ખર્ચે 140×140 અને 26 ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવી છે. જેમાં એક કરોડ લીટર પાણીનો સંગ્રહ થઇ શકશે. એક અંદાજ મુજબ જો લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ થશે તો પણ ખેત તલાવડી ભરાઈ જશે. જેથી હું બાર મહિના ખેતરમાં પિયત કરી શકીશ. સરકાર સહાયતા રુપે ટેકો કરે અને ખેડૂતોને સબસિડી ભાગ રુપે આપે તો તલાવડી બનાવી શકીએ અને ખેડૂતો ખેતી પણ કરી શકે સાથે પશુપાલન પણ કરી શકે.
From – Banaskantha Update