ડીસામાં નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પાણીના ટાંકામાં ક્લોરીનેશનની કામગીરી હાથ ધરાઇ

- Advertisement -
Share

કોરોના વાયરસની મહામારી બાદ પીવાના પાણીથી રોગચાળો ન વધે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે ડીસાના તમામ પાણીના ટાંકાના ક્લોરીનેશન ચકાસણીની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં 2 થી 3 પાણીના બોરમાં ક્લોરીનેશન ન કરવામાં આવતાં આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી અને પાણીના સેમ્પલ લઇ તપાસ હાથ ધરાઇ હતી.

 

 

ચાલુ વર્ષે બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસની મહામારીમાં પરિસ્થિતિ બેકાબૂ બની હતી. જેના કારણે સતત કોરોના વાયરસના કેસ વધતાં અનેક લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે હવે કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થતાં હવે પાણીજન્ય રોગચાળા થવાની ભીતિ સેવાઇ રહી છે. દર વર્ષે ચોમાસુ શરૂઆત થતાંની સાથે જ પાણીથી થતાં રોગ સામે આવતાં હોય છે. ક્યારેક પાણીને ક્લોરીનેશન ન કરવામાં આવતાં મોટાભાગના વિસ્તારોમાં પાણીજન્ય રોગો થતાં હોય છે. સૌથી વધુ પાણીના કારણે ચામડીના રોગ સામે આવતાં હોય છે. ત્યો હવે બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસની મહામારી ઓછી થતાંની સાથે જ પાણીથી થતાં રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે.

 

ઉનાળામાં ચોમાસા જેવો માહોલના પગલે પાણી અને વાયુજન્ય રોગચાળાની સ્થિતિ સર્જાઇ શકે તેવી સ્થિતિ જોવા મળતાં બનાસકાંઠા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે તમામ પાણીના ટાંકાનું ક્લોરીનેશન ચકાસણીની કામગીરી હાથ ધરાઇ હતી. જે અંતર્ગત ડીસા ખાતે પણ અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જીગ્નેશભાઇ હરિયાણીની સુચનાથી આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ડીસામાં આવેલા તમામ પાણીના ટાંકામાં નગરપાલિકા દ્વારા પાણીનું કલોરીનેશન કરવામાં આવે છે કે નહીં તેની ચકાસણી કરાઇ હતી. જેમાં ડીસા નગરપાલિકા હદ વિસ્તારમાં 2 થી 3 પાણીના ટાંકામાં બોર ઓપરેટર દ્વારા ક્લોરીનેશન કરાયું હતું. જેથી આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ રીપોર્ટ તૈયાર કરી ડીસા નગરપાલિકાને આપવામાં આવ્યો હતો.

 

 

 

દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ પાણીજન્ય રોગ શરૂ થઇ જતાં હોય છે. જેના કારણે લોકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા પાણીના ટાંકા અને બોરવેલમાં રોજેરોજ ક્લોરીનેશન કરવામાં આવે છે. જેના કારણે પાણીજન્ય રોગથી બચી શકાય છે. પરંતુ ડીસા શહેરમાં આવેલા અમુક વિસ્તારોમાં બોર ઓપરેટરોની બેદરકારીના કારણે પાણીમાં ક્લોરીનેશન થતું નથી. જેના કારણે ડાયેરીયા, ટાયફોડ અને કોલેરા જેવા રોગ થવાની ભીતિ સેવાઇ રહી છે.

 

 

આ અંગે જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જીગ્નેશભાઇ હરિયાણીએ જણાવ્યું હતું કે, ‘આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થઇ રહી છે. તેના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને લોકોના ઘરો સુધી પહોંચી ક્યાંય વરસાદી પાણી ન ભરાય અને ઘરોમાં કુંડા કે ટાયરોમાં પાણી ન ભરાય તે માટે પણ સુચનાઓ અપાઇ હતી. જે બાદ વધુમાં વધુ પાણીમાં ક્લોરીનેશન થાય તે માટે પણ ડીસા નગરપાલિકાને તાત્કાલીક સુચના આપી દેવામાં આવી છે.’

આ અંગે ડીસા નગરપાલિકાના ચીફ ઓફીસર ઉપેન્દ્રભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે, ‘ડીસા શહેરમાં 11 જેટલાં પાણીના ટાંકા અને 7 જેટલાં પાણીના સંપ આવેલા છે. આ તમામમાં પાણી પહોંચાડવા માટે ડીસા નગરપાલિકા હદ વિસ્તારમાં 24 જેટલાં મોટા પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે અને આ તમામ પાણીના ટાંકામાં બોર ઓપરેટરો દ્વારા ક્લોરીનેશન કરવામાં આવતું હોય છે. ત્યારે હવે ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ રોજેરોજ ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા આ તમામ પાણીના ટાંકાનો ક્લોરીનેશન કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. પરંતુ જે પણ વિસ્તારમાંથી બોર ઓપરેટર દ્વારા કલોરીનેશન ન કરવામાં આવતાંની ફરિયાદ નગરપાલિકામાં કરવામાં આવતાં નગરપાલિકા દ્વારા બોર ઓપરેટર સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હવે આગામી સમયમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ જે રોગચાળા શરૂ થાય છે તે વધે નહીં તે માટે ડીસા નગરપાલિકા દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.’

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!