પાલનપુર તાલુકાના કાણોદર ગામમાં કાર્યરત એસ.કે.એમ. હાઇસ્કૂલના સંચાલક મંડળ દ્વારા કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર તમામ વિદ્યાર્થીઓની ફી માફ કરવા સાથે ધોરણ-12 સુધીનો શૈક્ષણિક ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી એક ઉમદા અને અન્ય શાળાઓ માટે પ્રેરણાત્મક જાહેરાત કરી હતી.
કોવિડ-19 અંતર્ગત કોરોના વાયરસની બીજી લહેરમાં બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે કાણોદર ગામે આવેલી સર્વોદય કેળવણી મંડળ સંચાલિત એસ.કે.એમ. હાઇસ્કૂલના સંચાલક મંડળ દ્વારા વર્તમાન કોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર તમામ બાળકોને ધોરણ-9 માં ફી નો એક પણ રૂપિયો લીધા વિના પ્રવેશ આપવા સાથે ધોરણ-12 સુધી ફી સહિત બુટ, ગણવેશ, પુસ્તકો સહિતની જરૂરિયાતો આપી આ વિદ્યાર્થીઓને દત્તક લેવાનો સરાહનીય નિર્ણય કર્યો હોવાનું મંડળના પ્રમુખ હસનભાઇ કુગસિયાએ જણાવ્યું હતું.
ગામના અનેક યુવાનો સહિતના લોકો વિદેશમાં બિઝનેસ કરવા સાથે હંમેશા ગામની સુચારુ સેવાકીય પ્રવૃતિઓમાં ઉદાર હાથે ફાળો આપી પોતાનું મહત્વનું યોગદાન આપે છે. ત્યારે કાણોદર શાળાના સંચાલક મંડળનો નિર્ણય જિલ્લાની અનેક શાળા સંચાલકો માટે પ્રેરણાદાયી બની રહેશે.
From – Banaskantha update