બનાસકાંઠામાં પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં આવેલ ભૂગર્ભ સંપ ઉપરના ભાગેથી જર્જરીત બનતા આ વિસ્તારના 13 હજાર જેટલા લોકો ગંદુ પાણી પીવા મજબુર બન્યા છે. જોકે આ વિસ્તારમા 10 લાખ લીટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતું ભૂગર્ભ ટાંકુ કેટલાય સમયથી ખુલ્લી હાલતમાં છે અને અહીં ટાંકા પાસે ગંદકી ખદબદી રહી હોઈ સ્થાનિકો દ્રારા જર્જરીત ટાંકાના મરામત કરાવવાની માંગ કરાઈ છે.
પાલનપુર શહેરના બેચરપુરા વિસ્તારમાં આવેલ પીવાના પાણીના ભૂગર્ભ ટાંકાની છેલ્લા 8 વર્ષથી મરામત કરાઈ ન હોઈ જેને લઈ ટાંકાના ઉપરના ભાગ ઠેરઠેર ખુલ્લો હોઈ જેને લઈ આ વિસ્તારના લોકો ગંદુ પાણી પીવા મજબૂર છે.
આ અંગે નગરપાલિકામાં અનેક રજૂઆતો કરાઈ છે. તેમ છતાં પાલિકા તંત્ર દ્રારા ટાંકાની દરકાર લેવામાં ન આવતા લોકોમાં રોષ છવાયો છે. 10 લાખ લીટરની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતા આ ટાંકાની આજુબાજુ ગંદકી જ ગંદકી ફેલાયેલી છે. બાવળના ઝાડ ઊગી ગયા છે અને ટાંકુ તૂટી ગયું હોઈ કોઈ ઝેરી જીવ જંતુ ટાંકામાં પડી જાય તો પણ ખબર ન પડે તેવી સ્થિતિ સર્જાયી છે.
જોકે, આ ટાંકુ છેલ્લા કેટલાય સમયથી તૂટી ગયું હોવા છતાં પાલિકા દ્રારા ટાંકાની મરામત કરવામાં લાપરવાહી દાખવવામાં આવી રહી છે. જેને લઈ આ વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે.
From – Banaskantha update