કોરોના મહામારી દરમિયાન ગ્રામિણ વિસ્તારોમાં પ્રેકટીસ કરતા તબીબોએ જ લોકોની સાચી મદદ કરી છે.
બનાસકાંઠા જીલ્લામાં પોલીસ વિભાગ દ્વારા છેલ્લા પાંચ દિવસથી બોગસ તબીબો ઉપર તવાઇ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 19 જેટલાં બોગસ તબીબોને પકડી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેથી અન્ય ઉંટવેલીયા તબીબોમાં પણ ફફડાટ છે. જો કે, આ તબીબો પરની કાર્યવાહીને લઇને લાખણી તાલુકા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પત્ર લખી અને આવા તબીબો સામે પોલીસ કાર્યવાહી ન કરવા માટે રજૂઆત કરી છે. જ્યારે કોરોના મહામારી દરમિયાન ગ્રામિણ વિસ્તારોમાં પ્રેકટીસ કરતાં તબીબોએ લોકોની સાચી મદદ કરી છે. ડિગ્રી વિના મેડીકલ પ્રેકટીસ કરતાં લોકો સામે કાર્યવાહી ન કરવા દિયોદરના ધારાસભ્યે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ગ્રામિણ વિસ્તારમાં મેડીકલ પ્રેકટીસ કરતાં તબીબો સામે આડેધડ કાર્યવાહી ન કરવા માંગ કરી છે.
કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો સંક્રમિત થયા હતા તો અનેક લોકો મોતને ભેટ્યા હતા. બનાસકાંઠામાં એક પણ એવો તાલુકો અને અંતરીયાળ વિસ્તાર નહોતો કે કોરોનાનું સંક્રમણ ફેલાતાં ઓક્સિજન માટે દોડા દોડી ન હોય. તો બીજી તરફ ઇન્જેક્શન અને સારવાર માટે પણ દર્દીઓના સગા-વ્હાલાઓએ દોડા દોડી કરી હતી. લોકોને સારવાર લેવા માટે ખાલી બેડ પણ મળતાં ન હતા અને હાલાકી ભોગવવી પડી હતી.
સ્વયંભૂ બંધ પાળવાથી હોવાથી ટ્રાન્સપોર્ટેશન પણ ચાલુ ન હતું. જેને લઇને લોકોને શહેરોમાં પણ તકલીફ પડતી હતી. ત્યારે અંતરીયાળ વિસ્તારમાં આવા તબીબોએ દર્દીઓને પ્રાથમિક સારવાર આપી અને લોકોના જીવ બચાવવામાં પણ મદદ કરી હતી. ત્યારે પોલીસ વિભાગે બોગસ તબીબો ઉપર કાર્યવાહી કરતાં લાખણી તાલુકાના પૂર્વ પ્રમુખે મહેશભાઇ દવેએ મુખ્યમંત્રીને પત્ર લખી અને આવા તબીબો સામે પોલીસ કાર્યવાહી ન થાય તેવી માંગણી કરી છે.
આ અંગે પૂર્વ પ્રમુખ મહેશભાઇ દવેએ જણાવ્યું હતું કે, ‘ગામડાંઓમાં નાની-મોટી પ્રેકટીસ કરતાં સહાયક તબીબ છે. જેને સરકાર ઉઘાડ પગા ઉંટવેદ જેવા અલગ પ્રકારના નામ આપે છે. ખરેખર તો આ નામ સામે જ પહેલાં વાંધો છે. કે સાચા તબીબ નથી તે વાત અમે પણ સ્વીકારીએ છીએ પણ તે બોગસ પણ નથી. બોગસ તબીબની વાત જ ખોટી છે. કોરોના કાળમાં જ્યારે હોસ્પિટલો હાઉસફૂલ હતી ત્યારે આ લોકોએ ગામડાંઓમાં ઘરે-ઘરે જઇને સેવા આપી છે. આ લોકોના કારણે કોરોના કાળમાં અનેક લોકોના જીવ બચ્યા છે. એટલાં માટે આવા લોકોને બોગસ તરીકે ચીતરવા ના જોઇએ. આ લોકોને ઉલ્ટાનું પ્રમાણપત્ર આપવું જોઇએ અને અભિનંદન આપવા જોઇએ. આ લોકો પર તવાઇ ન કરવા મારી વિનંતી છે.’
દિયોદરના ધારાસભ્યે નાયબ મુખ્યમંત્રીએ ગામડાંઓમાં પ્રેક્ટીસ તબીબો સામે કાર્યવાહી ન કરવા પત્ર લખ્યો છે. જેમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. જેમાં એપ્રિલ અને મે-2021 ના માસ દરમિયાન મારા બનાસકાંઠા જીલ્લાના ગામડાઓમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો. આ સમય દરમિયાન સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં એક પણ બેડ ખાલી ન હતો. જે દરમિયાન કોરોના દર્દીઓ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં રીપોર્ટ કરાવી અને બેડના અભાવે પોતાના ઘરે દવા અને બાટલા ચડાવવા પડે તેવી મુશ્કેલી હતી. કોરોનામાં સપડાયેલ લોકોને ઉંડાણના ગામડાંઓથી શહેરની હોસ્પિટલો સુધી જવામાં સરકારી બસો અને અન્ય પ્રાઇવેટ વાહન વ્યવહાર બંધ હતા.
આવા સમયે આ ગામડાંઓમાં પ્રેક્ટીસ કરતાં પ્રેક્ટીસનરોએ દરેક દર્દીના ઘરે-ઘરે જઇને લોકોની સેવા કરી છે. આવા 80 ટકા ગામડાંઓના લોકોએ આ પ્રેક્ટીસનરોની સેવાનો લાભ લીધો છે. જે સન્માનિય કહી શકાય પરંતુ હાલ દરેક ગામડાંઓના પ્રેક્ટીસનરોને ત્યાં પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા રેડ પાડીને પોલીસ કેસ કરવામાં આવી રહ્યા છે. વધુમાં આ જે પ્રેક્ટીસનરો છે. જેઓએ પોતાની જોડેથી દવા કરેલ નથી. પણ જે લોકો મોટી હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલના રીપોર્ટ અને દવા લખીને લાવેલ છે. તેવી જ દવાઓ કરીને લોકોને મદદરૂપ થઇ ઘણા લોકોના જીવ બચાવ્યા છે.
આ અંગે દિયોદરના ધારાસભ્ય શિવાભાઇ ભુરીયાએ જણાવ્યું હતું કે, ‘બધી જગ્યાએ સર્વે કરાવીને કોઇ પણ કાર્યવાહી કરવી જાઇએ. આડેધડ કેસો કરવા એ યોગ્ય લાગતું નથી અને આવા તો ગુજરાત રાજ્યના ઘણા ગામડાંઓમાં પ્રેક્ટીસ કરતાં તબીબો છે. જે બધા ડિગ્રી વગરના તબીબો છે એ સાચું નથી. જેથી આવી કાર્યવાહી આડેધડ નહીં કરવા મારી આપને વિનંતી છે.’
બનાસકાંઠા જીલ્લામાં કોરોના મહામારી દરમિયાન ગ્રામિણ વિસ્તારોમાં પ્રેક્ટીસ કરતાં તબીબોએ લોકોની સાચી મદદ કરી છે. કોરોના કાળમાં જ્યારે હોસ્પિટલો હાઉસફૂલ હતી ત્યારે આ લોકોએ ગામડાંઓમાં ઘરે-ઘરે જઇને સેવા આપી છે. આ લોકોના કારણે કોરોના કાળમાં અનેક લોકોના જીવ બચ્યા છે.