કોવિડ-19 કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે પરંતુ મ્યુકોરમાઈકોસિસ ફંગસ રોગના કેસો સામે આવતા બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર સજાગ થઇ યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. કલેકટર આનંદ પટેલેના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગે બનાસકાંઠા જિલ્લામાં તમામ 14 તાલુકાઓમાં મ્યુકોરમાઇસિસ દર્દીઓને યોગ્ય સમયે સારવાર મળી રહે તથા આ રોગને પ્રસરતો અટકાવવા માટે જિલ્લામાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે આરોગ્યના અધિકારીઓ ડોકટરો સાથે યોજાયેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, જિલ્લાનામાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થયેલા દર્દીઓનું ડોર ટુ ડોર સઘન સર્વેલન્સ હાથ ધરી મ્યુકોરમાઈકોસિસ શંકાસ્પદ દર્દીઓ શોધી તેમની સમયસર યોગ્ય સારવાર કરવામાં આવે.
આ સઘન સર્વેલન્સની કામગીરી આરોગ્ય વિભાગના તબીબો અને સ્ટાફની ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોના વાયરસથી થયેલ સંક્રમિત દર્દીઓનું ડોર ટુ ડોર આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. કોરોના વાયરસની બીજી લહેરમાં કોવિડ પોઝિટિવ કુલ- 8900 કેસ સામે આવ્યા છે.
જેમાંથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમોએ કુલ-6828 દર્દીઓની હોમ ટુ હોમ મુલાકાત લીધી હતી. આ સઘન સર્વેલન્સમાં ડીસામાં-4, દિયોદર, ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા, ભાભર અને સૂઇગામમાં એક-એક આમ કુલ-10 મ્યુકોરમાઇકોસિસ શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યાં છે. મ્યુકોરમાકોસિસ રોગના દર્દીઓને તાત્કાલિત ઉત્તમ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તેમને હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યા છે.
જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસ નામના ફંગસને પ્રસરતો અટકાવવા આરોગ્ય વિભાગ દ્રારા આ રોગ પ્રત્યેય લોકોમાં જાગૃત લાવવાના આશયથી જિલ્લામાં વિવિધ જગ્યાએ પેમ્પલેટો પણ વહેંચવામાં આવ્યાં છે તેમ બનાસકાંઠા જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફીસર ડો. એન. કે. ગર્ગે જણાવ્યું.
From – Banaskantha Update