ડીસા તાલુકાના નવા નેસડા ગામના ભાઇ-બહેનના લગ્ન સાટા પદ્ધતિથી કરાયા હતા. જો કે, ભાભી-ભાઇને ઘર જમાઇ તરીકે લઇ ગઇ હોવાથી બહેન તેના સાસરે જતી ન હતી. આ મામલો છુટાછેડા સુધી પહોંચી ગયો હતો. જો કે, બનાસકાંઠા 181 અભિયમના કાઉન્સેલરે બંનેને સમજાવતાં બે દંપતિનો માળો વિખેરાતાં બચી ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના નવા નેસડા ગામના કિરણભાઇના અને તેમની બહેન જ્યોતિના લગ્ન બાજુના જ ગામમાં સાટા પદ્ધતિથી કરાયા હતા. જ્યોતિબેનના ભાભી કમળાબેન પોતાના પતિ કિરણભાઇને ઘર જમાઇ તરીકે રાખતા હતા. આથી જ્યોતિબેન તેમની સાસરીમાં જતા ન હતા અને ભાભી અને ભાાઇ પોતાના ઘરે આવીને રહે તો જ સાસરીમાં જવાની જીદ લઇને બેઠા હતા.
આ અંગે પરિવાર અને સમાજ દ્વારા પણ તેમની વચ્ચે સમજાવટ કરવાના પ્રયત્નો કરાયા હતા. પરંતુ સફળતા ન મળતાં મામલો છુટાછેડા સુધી પહોચી ગયો હતો. તે દરમિયાન આ અંગેનો કોલ મહીલા પોલીસ હેડ કોન્સ્ટેબલ શિલ્પાબેન વાઘેલાને મળતાં તેઓ સાથે ત્યાં ગયા હતા.
જ્યાં તેમને સમજાવવામાં આવતાં આખરે કિરણભાઇ અને તેમના પત્ની નવા નેસડા રહેવા તૈયાર થયા હતા. બીજી તરફ જ્યોતિબેન પણ સાસરીમાં જવા તૈયાર થતાં તેમના છુટાછેડા અટકી ગયા હતા અને બંને માળો વિખેરાતો બચી ગયો હતો. જયારે બે દંપતીના માળો વિખેરાતાં 181 ટીમે બચાવતાં પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
From – Banaskantha Update