બનાસકાંઠામાં દિયોદર પાસે કેનાલમાંથી 15 દિવસ અગાઉ મળી આવેલી લાશ મામલે હત્યાનો ગુનો નોંધાયો છે. મૃતક યુવકે તેના મિત્રના પ્રેમિકા સાથેના ફોટા વાયરલ કરી ખોટા કેસમાં ફસાવી દીધો હોવાથી તેનો બદલો વાળવા માટે તેની હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું છે, આ મામલે થરાદ પોલીસે 4 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દિયોદર પાસે નર્મદા કેનાલમાંથી 15 દિવસ અગાઉ અમદાવાદમા રહેતા યસ પ્રજાપતિની લાશ મળી આવી હતી તે સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નથી તપાસ હાથ ધરી હતી, બાદમાં મૃતક યુવકના મિત્ર અમિત ખત્રીએ યશના પિતાને આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની જાણ કરી હતી અને યસ પ્રજાપતિએ તેના મિત્ર કૌશિક સોનીના તેની પ્રેમિકા સાથેના ફોટા વાયરલ કર્યા હતા તેમજ તેને ખોટા ચિટિંગ ના કેસમાં ફસાવી પણ દીધો હતો, જે બાબતે મન દુઃખ રાખી આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.
કૌશિક સોનીએ તેના ત્રણ મિત્રો સાથે મળી યશ પ્રજાપતિને છેતરીને બોલાવી તેની હોન્ડા સિટી ગાડી સાથે અપહરણ કર્યું હતુ. અપહરણ કર્યા બાદ તેને ચાણસ્મા અને ત્યાંથી દિયોદરના લુન્દ્રા પાસે આવેલ કૌશિકના ફાર્મ હાઉસ પર લઇ જઇ યશને બે દિવસ ઓરડીમાં ગોંધી રાખી માર માર્યો હતો ત્યારબાદ નર્મદા મુખ્ય કેનાલમાં ફેંકી દઇ હત્યા કરી હતી.
બાદમાં આ આરોપીઓ યશની કાર લઈને રાજસ્થાન ચાલ્યા ગયા હતા અને વળતા હોન્ડા સીટી કાર રાણીવાડા પાસે મૂકી ફરાર થઇ ગયા હતા જે બાબત ધ્યાને આવતા જ મૃતકના પિતા હસમુખભાઈ પ્રજાપતિએ થરાદ પોલીસ મથકે ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે બદલો લેવા માટે કરાયેલી હત્યાના ગુન્હામાં ચાર લોકો સામે ગુનો નોંધી હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Follow up : દિયોદર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો : ભાગીદાર કૌશિક સહિત ત્રણ હત્યારા ઝડપાયા, હત્યાની ચોંકાવનારી કહાણી જણાવી
From – Banaskantha Update