બનાસકાંઠા જિલ્લામાં ફંગસનો કહેર વધુને વધુ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વધુ 3 લોકોની જીંદગીઓ રોગ સામે હારી જતા પરિવારજનોમાં આઘાત વ્યાપી ગયો હતો. જેમાં વડગામના, કાંકરેજના વડા ગામના અને ધાનેરાના શીયા ગામના 3 દર્દીઓ અમદાવાદ સિવિલમાં દાખલ હતા. જ્યાં સારવાર દરમિયાન ગુરૂવારે ત્રણેયના મોત થયા છે.
પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી તેમજ જિલ્લાના ખાનગી અને અન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી 40 દર્દીઓ એક સપ્તાહ દરમિયાન મ્યુકર માઇકોસીસની સારવાર માટે મોકલવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે એ ઉપરાંત વડનગર અને ધારપુર મેડિકલ કોલેજમાં પણ 2- 2 દર્દીઓ સારવાર હેઠળ છે.
જોકે 40 દર્દીઓ પૈકી ગુરુવાર બપોર સુધી 9 દર્દીઓના મોત થઇ ચુક્યા છે. જેમાં ત્રણ દર્દીના મોત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં થયા હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે” કાંકરેજના વડાગામના 50 વર્ષીય પુરુષનું , વડગામના 50 વર્ષીય પુરુષનું, જયારે ધાનેરા તાલુકાના શીયા ગામની 55 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું.
બ્લેક ફંગસ રોગને મહામારી જાહેર કરી દેવાયા બાદ તેની ભયાનકતા એ હદ સુધી છે કે બનાસકાંઠા જિલ્લામાંથી 10-15 દિવસ પહેલા અમદાવાદ ટ્રાન્સફર કરેલા દર્દીઓ પૈકી એકપણ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા નથી.
ફંગસના દર્દીઓ શોધવા માટે 8000 કોરોના દર્દીઓનું સ્ક્રિનિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. જેને લઇ આર.બી એસ.કે.ની ટીમોએ ડેટાના આધારે ડાયાબિટીસ ધરાવતા, ખેતરમાં કામ કરતા તેમજ મોટી ઉંમરના દર્દીઓને શોધવા માટેનું અભિયાન હાથ ધર્યું છે. જેમાં એક દર્દીમાં લક્ષણો જણાતા હોસ્પિટલ મોકલવાની તજવીજ ગુરુવારે સાંજે હાથ ધરાઇ હતી.
From – Banaskantha Update