કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી સમગ્ર દુનિયા પરેશાન છે. ત્યારે વિશ્વભરમાં ફેલાયેલી આ મહામારીમાંથી મુક્ત થઇ આપણા રાજ્ય, દેશ અને દુનિયામાં સુખ, શાંતિ તેમજ સમૃધ્ધિ પથરાય તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જીલ્લાના કલેકટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન અનુસાર, અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા કોરોનાના રક્ષણ માટે મંદિરના ચાચર ચોકમાં બિરાજમાન સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ દાદાનું શાસ્ત્રોક્ત વિધી-વિધાન મુજબ પૂજા-અર્ચના કરાઇ હતી.
જગતજનની જગદંબાના ચાચર ચોકમાં વિરાજીત ભગવાન રીદ્ધિ- સિદ્ધિના સ્વામી સમસ્ત પરિવાર સાથે ગણપતિ સિદ્ધિ વિનાયક દાદાનું દિવ્ય મંદિર આવેલું છે. બુધવારે વૈશાખ સુદ-પૂર્ણિમાના પવિત્ર દિવસે ‘‘સર્વ જન હીતાય, સર્વજન સુખાય’’ના કલ્યાણ મંત્રથી ગણેશ કૃપા મેળવવા સહસ્ત્ર મોદક દ્વારા, સહસ્ત્ર પુષ્પો દ્વારા, ગણપતિપ્રિય સહસ્ત્ર દુર્વા દ્વારા, અંબાજી મંદિરના પંડીતો દ્વારા પૂજા-અર્ચના કરાઇ હતી. ભગવાન ગણેશ સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને જગતજનની માં અંબે સમસ્ત જન સમુદાયની રક્ષા કરે તે માટે અંબાજી મંદિરના પંડીતો દ્વારા માતાજીને પ્રાર્થના કરાઇ હતી.
વિશ્વભરમાં ફેલાયેલ કોરોનાની આ મહામારી સામે આધ્યાત્મિક રીતે રક્ષણ માટે અંબાજી મંદિર દ્વારા તા. 07/05/2021થી તા. 12/05/2021 સુધી સાત દિવસ માટે દૈનિક અલગ-અલગ વિષ્ણુ યાગ, ગણેશ યાગ, હનુમાન યાગ, મહારુદ્ર યાગ અને સૂર્યયાગ યજ્ઞ આહુતિ આપી સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેમજ આ મહામારીના સમય દરમિયાન મૃત્ય પામેલા વ્યક્તિઓના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરાઇ હતી.
સરકારની ગાઈડલાઈન મુજબ તા. 13/04/2021 થી અંબાજી મંદિર દર્શન માટે બંધ કરવામાં આવેલ છે. ભટ્ટજી મહારાજ દ્વારા રાબેતા મુજબ વિધી-વિધાન અને પૂજન કરવામાં આવી રહ્યા છે. પવિત્ર ચૈત્રી નવરાત્રીમાં તા.13/04/2021 થી તા. 20/04/2021 સુધી ચૈત્રી નવરાત્રિ નિમિત્તે અંબાજી મંદિરના લાઈવ આરતી દર્શનની વ્યવસ્થા અંબાજી મંદિર દ્વારા કરાઇ હતી. જેનો લાખો માઈ ભક્તોએ ઘરે બેઠા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમ શ્રી આરાસુરી અંબાજી માતાજીના દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડાએ જણાવ્યું છે.
From – Banaskantha Update