બનાસકાંઠામાં પાલનપુર પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે રાત્રી સમયે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે 108 એમ્બ્યુલન્સ વાન, પાલનપુર પોલીસ સહિત આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી.
પાલનપુર દાંતા રોડ પર આવેલ રતનપુર પાસે મોડી રાત્રે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો. સતલાસણાના નનીભાળુ ગામનો ચૌહાણ પરિવાર ઇકો ગાડી લઈને દાંતીવાડા પાસે લગ્ન પ્રસંગે ગયો હતો ત્યાંથી આ પરિવાર પરત આવી રહ્યો હતો તે દરમિયાન પાલનપુરના રતનપુર પાસે હાઇવે પર ટ્રક અને ઇકો ગાડી સામસામે ટકરાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો.
અકસ્માત એટલો ભયંકર હતો કે ઇકો ગાડીના ફુરચેફુરચા ઉડી ગયા હતા. આ ગોઝારા અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા ઇકો ગાડીમાં બેઠેલા જયબા કિરણસિંહ ચૌહાણ અને અમરતબા અદેસિંહ ચૌહાણનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
ઘટનાને પગલે આજુબાજુના લોકો, 108 એમ્બ્યુલન્સ વાન અને પાલનપુર તાલુકા પોલીસ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને બંને મૃતકોની લાશને પી.એમ અર્થે ખસેડી હતી જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડતા બે લોકોના કરૂણ મોતથી ચૌહાણ પરિવારમાં માતમ છવાયો હતો.
From – Banaskantha Update