તૌક્તે વાવાઝોડું 7 કિલોમીટર/કલાકની ઝડપે રાજ્યની ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે તે ધ્યાને રાખતા તૌક્તે વાવાઝોડાની અસરને પગલે બનાસકાંઠા જિલ્લામાં તમામ બસ રૂટો આજે બપોરથી બંધ કરી દેવાયા છે. જિલ્લાના 14 તાલુકાઓમાં 176 સિડ્યુલ અને 650થી પણ વધુ રૂટની બસો સ્થગિત કરી દેવાઈ છે. અચાનક બસો બંધ થઈ જતા અનેક મુસાફરો અટવાઈ પડ્યા.
તૌક્તે વાવાઝોડાની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ ધીમેધીમે વધી રહી છે. આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તેવામાં જિલ્લાના તમામ બસ રુટો પણ આજે બપોરથી બંધ કરી દેવાયા છે. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં અત્યારે 150 જેટલા બસોના સિડ્યુલ છે.
જે તમામ સિડ્યુલમાં 650થી પણ વધુ રૂટો પર બસો ચાલુ હતી. જે તમામ રુટો પર આજે બસો બંધ કરી દેવાઇ છે અને જે જગ્યાએ બસ હોય ત્યાં નજીકના બસ મથક પર બસને મૂકી દેવા માટે તમામ બસચાલકોને સૂચના આપવામાં આવી છે. જ્યાં સુધી વાવાઝોડાની પરિસ્થિતિ થાળે નહીં પડે અને ઉપરથી આદેશ ન આવે ત્યા સુધી તમામ બસ રુટો બંધ રહશે તેમ વિભાગીય નિયામકે જણાવ્યું હતું.
રાજ્યના હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વાવાઝોડાની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે તૌક્તે વાવાઝોડું હાલ અમરેલી અને બોટાદની વચ્ચે છે, જે કલાકના 7 કિલોમીટરની ઝડપે રાજ્યની ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. જોકે પવનની ઝડપ ઘટીને 40થી 45 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.
મોહંતીએ ઉમેર્યું હતું કે આ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે, તેથી ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે. આ વાવાઝોડું નબળું પડ્યું છે, પણ નાગરિકોએ પોતાના ઘરમાં સુરક્ષિત રહેવા માટે તેમણે અપીલ કરી હતી.
From – Banaskantha Update