પાલનપુર મુકામે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ખાનગી હોસ્પીટલોના તબીબો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં રેમડેસીવીર ઇન્જેક્શન અને ઓક્શિજનના જથ્થા અંગે ચર્ચા કરી વ્યવસ્થા સુનિશ્વિત કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, જે ખાનગી હોસ્પીટલોમાં કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવે છે તેવી હોસ્પીટલના દર્દીઓના આર.ટી.પી.સી.આર. રિપોર્ટ, આધાર કાર્ડ, ર્ડાકટરની ભલામણ અને દર્દીની ટુંકી વિગતના આધારે સરકારી ધારાધોરણ મુજબ રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે, જે ખાનગી હોસ્પીટલોએ કોવિડ સારવાર માટે મંજુરી મેળવી છે માત્ર તેવી જ ખાનગી હોસ્પીટલોને રેમડેસીવીર ઇન્જેક્શન વેચાણથી આપવામાં આવશે. કોઇપણ વ્યક્તિ કે દર્દીના સગાને આ ઇન્જેક્શન આપવામાં આવશે નહીં.
રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થા માટે પાલનપુર સીવીલ સર્જનને સત્તા સુપ્રત કરી સમગ્ર વ્યવસ્થા સુનિશ્વિત કરવામાં આવી છે. જેનાથી દર્દીઓને સારવારના સમયે ઇન્જેકશન સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય તેમ તેમણે જણાવ્યું હતું.
આ બેઠકમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે જિલ્લામાં દરરોજના ઓક્શીજન વપરાશ અને જરૂરીયાત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં લઇ ઓક્શિજનનો પુરવઠો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે માટે આગોતરૂ આયોજન કરી ઓક્શિજનનો જથ્યો ઉપલબ્ધ રાખવા તેમણે સબંધિત અધિકારીઓને સુચના આપી હતી.
From – Banaskantha Update