વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજથી સમગ્ર દેશમાં કોવિડ રસીકરણનો રાષ્ટ્ર વ્યાપી શુભારંભ કરાવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી સાંસદ પરબતભાઈ પટેલે કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં છેલ્લા દસ મહિનાથી રાત-દિવસ લોકોની સેવામાં ખડેપગે રહેનાર ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ એવા ર્ડાકટર, સ્ટાફ નર્સ અને સફાઇકર્મીઓને તંત્રની ગાઇડલાઇન પ્રમાણે કોરોનાની રસી આપવાનું આજથી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાઇ ત્યારે અમેરીકા જેવા વિકસીત રાષ્ટ્રો પણ તેની અસરમાંથી બચી શક્યા નહોતાં. સાંસદએ કહ્યું કે, મુખ્યંમત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં વહીવટીતંત્રએ નિયમોનું અસરકારક પાલન કરી કોરોના મૃત્યુદરને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યુ કે, આપણા વૈજ્ઞાનિકોનું સંશોધન કોવિડ વેક્શિન આત્મનિર્ભર ભારત માટે ગૌરવની બાબત છે ત્યારે શંકા-કુશંકા રાખ્યા વગર અફવાઓથી દૂર રહી વેક્શિન લઇ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારીએ.
બનાસકાંઠા જિલ્લા કલેકટ આનંદ પટેલે જણાવ્યું હતું કે, મકરસંક્રાતિના શુભ અવસર પછી ફર્સ્ટ લાઇન કોરોના વોરીયર્સને વેક્શિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. બીજા તબક્કામાં 60 વર્ષ ઉપરના સિનિયર સીટીઝન લોકોને વેક્શિન આપવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, પ્રાંત અધિકારી હિરેન પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનીષ ફેન્સી સહિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
From – Banaskantha Update