થરાદની નર્મદા કેનાલમાં 1 વર્ષ પહેલા પથ્થર સાથે બાંધેલી હાલતમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો છે. મૂળ રાજસ્થાનના અને હત્યા દરમિયાન દાંતીવાડા રહેતા પ્રેમી સાથે મળી રાજસ્થાનમાં રહેતી પત્નીએ પતિનું ખૂન કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે. પ્રેમીએ રાણોલ અને મોટી ભટામલ ગામના 2 મિત્રોની મદદ લઇ ઇકોગાડીમાં ટૂંપો આપી લાશને પથ્થર બાંધી નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી જેનો હવે ભેદ ઉકેલાયો છે. થરાદ પોલીસે 4ની અટકાયત કરી છે.
થરાદમાં એક વર્ષ અગાઉ 8 જાન્યુઆરીએ વૃદ્ધનો પત્થર સાથે બાંધી કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો. અને તેની ઓળખ ન થાય તે માટે પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. જેથી રાજસ્થાનના બોર્ડર જિલ્લાઓના તમામ પોલીસ સ્ટેશનોમાં મૃતકના ફોટા મોકલતાં મૃતક રાજસ્થાનના આહોર પોલીસ સ્ટેશનમાં આવતા કામ્બા ગામનો ભુદારામ પિતારામ દેવાસી ઉ.68 નો હોવાનુ સામે આવ્યું હતું.
જેથી આ બાબતે મૃતક ભુદારામની પત્ની લક્ષ્મીદેવાસી તથા તેનો પ્રેમી નરસારામ ભગારામ મેધવાળ (રહે.કામ્બા તા.આહોર રાજ.) બંને જણા શંકાસ્પદ જણાતા હોઇ જેથી મૃતકની પત્ની લક્ષ્મીની પુછપરછ કરતાં મહિલાએ કબુલાત કરી અને જેમાં મૃતકની પત્ની લક્ષ્મી તથા તેનો પ્રેમી નરસારામ દાંતીવાડા ખાતે રહેતો હતો. જે બંનેના પ્રેમસંબધમાં લક્ષ્મીનો પતિ ભુદારામ નડતરરૂપ થતો હતો.
જેનું કાસળ કાઢવા આ બંને જણાએ પ્રવીણભાઇ જેઠાભાઇ પટેલ (રહે.રાણોલ તા.દાંતીવાડા) તથા જીતેન્દ્રભાઇ લગધીરભાઇ રબારી (રહે.મોટી ભટામલ તા.પાલનપુર) સાથે મળી ભુદારામને તેની પાઘડીથી ગળાના ભાગે ટૂંપો આપી મારી નાખ્યો હતો અને ભુદારામની હત્યા કરી આ તમામ લોકોએ તેની લાશ નર્મદા મુખ્ય કેનાલમાં ફેકી દઇ પુરાવાનો નાશ કરી છુટા પડી ગયા હતા.
—– ઝડપાયેલા આરોપી —–
1 લક્ષ્મીબેન ભુદારામ દેવાસી રહે.કામ્બા તા.આહોર (રાજસ્થાન)
2 પ્રવીણભાઇ જેઠાભાઇ પટેલ રહે.રાણોલ તા.દાંતીવાડા
3 જીતેન્દ્રભાઇ લગધીરભાઇ રબારી રહે.મોટી ભટામલ તા.પાલનપુર
4 હિતેશભાઇ કરસનભાઇ દેસાઇ (રહે.ચિત્રાસણી તા.પાલનપુર)
આ ગુનાના મુખ્ય આરોપી પ્રેમી નરસારામ ભગારામ મેગવાળની પોલીસે હજુ અટકાયત કરી નથી
From – Banaskantha Update