દૂધસાગર ડેરીના કર્મચારીઓના પગાર અને બોનસ બાબતે થયેલી કરોડોની ઉચાપત કેસમાં CID ક્રાઈમ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પૂર્વ ગૃહમંત્રી અને ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી આરોપી હતા. જે કેસમાં CID ક્રાઈમે તેમની શનિવારે મોડીરાત્રે ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટના બાદ વિપુલ ચૌધરીનું એક લેખિત નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, આ કોઇ સાગરદાણનું કૌભાંડ નથી. આ કેસ રાજ્ય રજિસ્ટ્રારના હુકમ સામે સહકારી ટ્રીબ્યુનલ દ્વારા મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. આ મામલે 11.25 કરોડ ડેરીમાં જમા કરાવ્યા છે.
વિપુલ ચૌધરીના લેટરપેડમાં જણાવવામાં આવ્યું કે, મહારાષ્ટ્રમાં દૂકાળ સમયે સહાયરૂપે મોકલેલા પશુદાનની રકમ અંદાજીત 22.5 કરોડના 10 ટકા દૂધસાગર ડેરીમાં સાત દિવસમાં જમા કરાવવાની શરતે સહકારી રાજ્ય રજિસ્ટ્રારના હુકમ સામે સહકારી ટ્રીબ્યુનલે તા. 8 ઓક્ટોબર 2018ના રોજ કામચલાઉ મનાઇ હુકમ આપ્યો હતો. તે મુજબ રૂ. 2.25 કરોડ મે ડેરીમાં તા. 16 ઓક્ટોબર 2018ના રોજ જમા કરાવ્યા હતા. ત્યારબાદ ટ્રીબ્યુનલે રૂ. 22.5 કરોડના વધુ 40 ટકા રકમ જમા કરાવવાની શરતે તા. 29 જુલાઈ 2019ના રોજ કાયમી મનાઈ હુકમ આપ્યો હતો. તે મુજબ બીજા રૂ. 9 કરોડ પણ ઉછીના લઇ મે 20 ઓગસ્ટથી 29 ઓગસ્ટ 2019 વચ્ચે જમા કરાવ્યા છે. આમ કુલ 11.25 કરોડમે ડેરીમાં જમા કરાવ્યા છે. રૂ. 9 કરોડ જે ઉછીના લીધેલા તે જમીનોનું બાનાખત કરીને પરત કર્યા છે. જમા કરાવેલી રકમ એ વસુલાત નથી અને સહકારી ટ્રીબ્યુનલમાં કેસ હજી ચાલુ છે. આ દુષ્કાળમાં મોકલેલી સહાયની રકમનો મામલો છે, કોઇ નાણાકીય કૌભાંડ નથી.