બનાસકાંઠાના ભૂસ્તર વિભાગ દ્વારા ખનિજ ચોરી ઝડપવામાં અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ધાનેરા થાવર રોડ પાસે ચેંકિગ દરમિયાન ગેરકાયદેસર સાદી રેતી વહન કરતા 4 ડમ્ફર ઝડપીને 1 કરોડનો કુલ મુદ્દામાલ સીઝ કર્યો હતો.
ખાણ-ખનીજ વિભાગે ખાનગી રાહે આકસ્મિક તપાસ હાથ ધરતા ધાનેરા થાવર રોડ પાસે ગેરકાયદેસર સાદી રેતી વહન કરતા 4 ડમ્ફર જેના નંબર (1) GJ-08-AU-6198 (2) RJ-04-GB-2919 (3) RJ-15-GA-6883 (4) RJ-04-GC-0122ને રોકાવી પૂછપરછ કરતાં રોયલ્ટી પરમીટ વગર સાદી રેતી વહન કરતા હતા.
જેથી તેને ઝડપી ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યાં છે. તેમજ RJ-04-GC-0057 જે વાહન ચાલક ડમ્ફર ખાલી કરી ભાગી ગયો હોવાથી તેની સામે પણ ફરિયાદ ધાનેરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
ભૂસ્તર વિભાગે 4 વાહન તેમજ ખનિજ મળી રૂપિયા 1 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત 10.50 લાખની દંડકિય રકમની વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, બનાસકાંઠાની તપાસ ટીમ દ્વારા અવાર-નવાર સમગ્ર જિલ્લામાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. તપાસ ટીમ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન સર્વેલન્સ દ્વારા તેમજ પ્રાઇવેટ વાહન મારફતે, ખનિજ ચોરી અટકાવવા દિવસ રાત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેને લઈ ભૂ-માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
From – Banaskantha Update