અનેકવાર તંત્રમાં અને સરકારમાં રજૂઆત છતા તંત્ર કુંભકર્ણની નિદ્રામાં
બનાસકાંઠા જીલ્લામાં ડીસાથી ભડથ ગામને જોડતાં એકમાત્ર માર્ગની હાલત બદથી બદતર થઇ જતાં હજારો વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વારંવાર રજૂઆત બાદ પણ ખરાબ રસ્તાના રીપેરીંગ માટેનું કોઇ જ આયોજન ન થતાં અહીંથી પસાર થતાં 15 થી પણ વધુ ગામના લોકોમાં સરકાર સામે ભારે આક્રોશ ભભૂક્યો છે.
ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં સરકાર દ્વારા લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક માર્ગો બનાવ્યા હોવાના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે.
પરંતુ ડીસાથી 15 જેટલાં ગામને જોડતાં એક માત્ર માર્ગની હાલત અને પરિસ્થિતિ કંઇક અલગ જ છે. ડીસાથી ભડથ ગામમાં જવાનો આ એકમાત્ર માર્ગ છે અને છેલ્લા એક વર્ષથી આ માર્ગની હાલત ખૂબ જ ખરાબ થઇ ગઇ છે.
ભારે વરસાદ અને હેવી વાહનોના કારણે આ માર્ગ મોટાભાગનો ધોવાઇને ખરાબ ગયો છે. ત્યારે કેટલીક જગ્યાએ એકથી દોઢ ફૂટ જેટલા ઉંડા ખાડા પડી ગયા છે. જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકો જાણે ડીસ્કો કરતાં હોય તેમ લાગે છે.
ડીસાથી આખોલ, મહાદેવીયા, ઢાંણી, ડાવસ, ગેનાજી ગોળીયા, રબારી ગોળીયા, ભડથ, તાલેપુરા, ધાનપુરા, ઘાડા, આગડોલ, ગણેશપુરા અને મહુડી સહીત 15 જેટલાં ગામોમાં જવા માટેનો આ એક માત્ર માર્ગ છે. 15 ગામમાં 25,000 થી પણ વધુ લોકોની અવર-જવર માત્ર આ માર્ગ પરથી જ થાય છે.
ખરાબ રસ્તા પર વારંવાર હેરાન થતાં લોકોએ તંત્રમાં અને સરકારને અનેકવાર રજૂઆત કરી છે. તેમ છતાં પણ હજુ સુધી નથી તો આ માર્ગ રીપેર કરવામાં આવ્યો નથી. જેના નવિનીકરણ માટેનું કોઇ આયોજન કરાયું નથી. જેના કારણે સરકાર સામે વાહન ચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.
From-Banaskantha update