ઉકેલ ન આવે ત્યાં સુધી ખેડૂતોએ આંદોલન ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારી
ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર આવેલ મુડેઠા નજીક ટોલ મુક્તિ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત બુધવારે આજુબાજુના ગામડાના લોકો અને ખેડૂતોએ ટોલ પ્લાઝા પર હંગામો કરી વિરોધ દર્શાવ્યો હતો.
અને જ્યાં સુધી સ્થાનિક લોકોને ટોલ મુક્તિ આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારી હતી.
ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર મુડેઠા ગામ નજીક ટોલ બૂથ આવેલું છે. જયારે આજ રોડ પર મુડેઠાથી 42 કિલોમીટરની અંદર જ કાંકરેજ તાલુકાના ભલગામ નજીક પણ ટોલ બૂથ આવેલું છે.
2 ટોલ બૂથ આટલા નજીક હોવાના કારણે સ્થાનિક લોકોએ બંને જગ્યાએ ડબલ ટોલ ચૂકવવો પડે છે. જે માટે સ્થાનિક ખેડૂતો અને લોકોએ વારંવાર રજૂઆત કરી હતી.
તેમ છતાં પણ ટોલ સંચાલકો દ્વારા આ અંગે કોઇ જ વિચાર ન કરતાં છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક ખેડૂતો અને આગેવાનોએ ટોલ મુક્તિ અભિયાન શરૂ કર્યું છે.
જે અંતર્ગત બુધવારે મુડેઠા ટોલ પ્લાઝા પર સ્થાનિક ખેડૂતો અને આગેવાનોએ હંગામો કરી વિરોધ દર્શાવ્યો હતો.
જયારે ટોલ બૂથ સંચાલકોને રજૂઆત કરી સ્થાનિક લોકોને ટોલમાંથી મુક્તિ આપી સર્વિસ રોડ બનાવી આપવાની માંગ કરી હતી અને જો આ અંગે ટોલ બૂથ સંચાલકો લોકોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
From-Banaskantha update