TMC સાંસદ અને એક્ટ્રેસ નુસરતે પ્રેગ્નેન્સી અને પતિ નિખિલ જૈન સાથેના સંબંધો વિશે ઊભા થયેલા સવાલો વિશે આકરો જવાબ આપ્યો છે. નુસરત જહાંએ એનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને નિખિલ પર ઘણા આરોપ લગાવ્યા છે. એ ઉપરાંત તેણે કહ્યું હતું કે તેના અને નિખિલ જૈનના લગ્ન તુર્કી કાયદા પ્રમાણે થયા છે અને આ લગ્ન કાયદા પ્રમાણે ભારતમાં માન્ય નથી. નોંધનીય છે કે નુસરત છેલ્લા છ મહિનાથી તેના પતિથી અલગ રહે છે. હાલ તે પ્રેગ્નેન્ટ છે અને તેના પતિને આ વિશે કઈ ખબર નથી.
નુસરતના નિખિલ જૈન સાથે 2019માં તુર્કીમાં ડેસ્ટિનેશન વેડિંગ થયા હતા. નુસરતે તેના લગ્ન અને તેની સાથે જોડાયેલી અફવાઓ પર બ્રેક લગાવવા આ મુદ્દે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. નુસરતે હવે તેના નિખિલ સાથેના લગ્નને અમાન્ય ગણાવ્યા છે. નુસરતે આ નિવેદનમાં કહ્યું હતું કે તુર્કી મેરેજ નિયમ પ્રમાણે એક વિદેશી ધરતી પર આયોજિત થયા હોવાથી આ સેરેમનીને માન્ય ગણી શકાય નહીં. એ ઉપરાંત અમારા મેરેજ આંતરધર્મીય છે, તેથી આ લગ્નને ભારતમાં સ્પેશિયલ મેરેજ એક્ટમાં મંજૂરી મળવી જરૂરી છે, પરંતુ હજી સુધી એ મળી નથી. તેથી કાયદાકીય રીતે અમારા લગ્ન માન્ય નથી. તેથી આને માત્ર એક સંબંધ અથવા લિવ-ઈન- રિલેશનશિપ કહી શકાય. આ સંજોગોમાં અમારા તલાકનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.
નુસરતે તેના સ્ટેટમેન્ટમાં વધુમાં કહ્યું હતું કે અમે ઘણા સમય પહેલેથી જ છૂટાં પડી ગયાં હતાં, પરંતુ મેં કદી આ વિશે વાત એટલે નહોતી કરી, કારણ કે હું મારા જીવનને પ્રાઈવેટ રાખવા માગતી હતી, તેથી મારી કોઈપણ વાતને અમે છૂટા પડ્યા છીએ એ વાત સાથે જોડીને મને જજ ના કરો. જે લગ્નની વાત અત્યારે થઈ રહી છે એ માન્ય નથી અને કાયદાની દૃષ્ટિએ એ માન્ય નથી.
નુસરતે તેના નિવેદનમાં લખ્યું હતું કે જે વ્યક્તિ પોતાને પૈસાદાર ગણાવી રહી છે કે વ્યક્તિએ મારો ઉપયોગ કર્યો છે. તેણે ઘણી વખત મારા અકાઉન્ટ્સમાંથી પૈસા લીધા છે. અમે છૂટા પડ્યા પછી પણ તેણે મારા અકાઉન્ટ્સમાંથી પૈસા લીધા છે. મેં ઉચ્ચ બેન્કિંગ ઓથોરિટીને આ વિશે જાણ કરી દીધી છે અને હવે ટૂંક સમયમાં આ વિશે એક પોલીસ ફરિયાદ પણ કરવાની છું.
તેણે બહુ ફોર્સ કર્યો, તેથી મેં મારા અને મારા પરિવારની બેન્ક ડિટેલ્સ તેને આપી દીધી હતી. તે મારી જાણ બહાર અને મારી મંજૂરી વગર મારાં જુદાં-જુદાં બેન્ક અકાઉન્ટ્સમાંથી પૈસા ઉપાડતો હતો અને એનો દુરુપયોગ કરતો હતો. મારે આ વિશે ઘણી વખત બેન્ક સાથે ઝઘડો પણ થયો છે અને જરૂર પડશે તો હું આ વિશે પુરાવા પણ રજૂ કરીશ.
નુસરતે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મારાં કપડાં, બેગ્સ અને ઘણી એસેસરીઝ હજી પણ નિખિલ પાસે છે. મને જણાવતાં ઘણું દુઃખ થાય છે કે મારા પૈતૃક દાગીના જે મારાં માતા-પિતા, મિત્રો અને સંબંધીઓએ આપ્યા હતા એ તેની પાસે છે. મારી કમાણીની ઘણી સંપત્તિ પણ તેણે મારી પાસેથી છીનવી લીધી છે.
ઘણી મહેનત પછી મેં મારી એક અલગ ઓળખ બનાવી છે, તેથી મારી ઓળખના આધાર પર મારી સાથે જોડાયેલી કોઈપણ વ્યક્તિને મારા હિસ્સાની લાઈમલાઈટ અથવા ટાઈટલ અથવા ફોલોઅર્સ શેર કરવાનો અધિકાર નથી આપતી. નોંધનીય છે કે નુસરત લગ્ન પહેલાં રાજકારણમાં આવી હતી.
નુસરત જહાંની પ્રેગ્નેન્સી અને પતિથી અલગ રહેતી હોવાના વિવાદ પછી હવે તેમની લગ્નની માન્યતા વિશે પણ વિવાદ શરૂ થયો છે. નુસરત જહાંએ એક નિવેદન રજૂ કરીને તેના અને નિખિલના લગ્ન ભારતીય નિયમો પ્રમાણે માન્ય ના હોવાનું જણાવ્યું છે. નુસરત જહાં બંગાળમાં તૃણમૂલ પાર્ટીની સાંસદ છે. લોકસભા પાર્લમેન્ટની વેબસાઈટ પર નુસરત જહાંએ તેને મેરિટિયલ સ્ટેટ્સમાં પોતાને પરિણીત ગણાવી છે અને તેના સ્પાઉસના નામમાં નિખિલ જૈનનું નામ પણ છે. હવે એક બાજુ નુસરત જહાં આ લગ્નને માનતી જ નથી અને બીજી બાજુ તે પોતાની જાતને નિખિલ જૈનની પત્ની પણ ગણાવે છે. આ વિશે પણ રાજકીય ક્ષેત્રે એક નવો વિવાદ ઊભો થયો છે.
TMCની સાંસદ અને બાંગ્લા એક્ટ્રેસ નુસરત જહાં હંમેશાં ચર્ચામાં રહે છે. ફિલ્મમાં સફળ કરિયર, ચૂંટણીમાં વિજય અને નિખિલ જૈન સાથે બીજા ધર્મમાં લગ્નને રહી ચર્ચામાં રહેતી નુસરત જહાં ફરી એક વખત ચર્ચામાં છે. કેટલાક રિપોર્ટ્સના દાવા મુજબ, નુસરત જહાં છેલ્લા 6 મહિનાથી પ્રેગ્નેન્ટ છે અને તેમના પતિ નિખિલ જૈને આ પ્રેગ્નેન્સી અંગે કંઈ જ જાણતો ન હોવાનું કહ્યું છે. નુસરતના પતિ નિખિલે તો ત્યાં સુધી કહ્યું છે કે નુસરતનું બાળક પોતાનું નથી અને બંનેનું લગ્ન જીવન ડામાડોળ જોવા મળી રહ્યું છે.
આ ઉપરાંત નુસરત જહાંની ચર્ચા આજકાલ બાંગ્લા એક્ટર અને ભાજપના નેતા યશ દાસગુપ્તા સાથે પણ થઈ રહી છે. નુસરત અને યશ બંને રિલેશનશિપમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બંને અનેક વખતે એક સાથે જોવા મળ્યાં અને આ વર્ષે ન્યૂયરનું સેલિબ્રેશન પણ બંનેએ સાથે રાજસ્થાનમાં કર્યું હતું.
From – Banaskantha Update