અચાનક રાત્રે 2 વાગ્યાના સુમારે વાતાવરણમાં પલ્ટો આવતાં જીલ્લામાં અનેક તાલુકામાં વરસાદની એન્ટ્રી
બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ ખેડૂતોએ પણ મોંઘાદાટ બિયારણો લાવી વાવેતર કર્યું હતું. પરંતુ કોરોના મહામારીના કારણે ખેડૂતોનો પાક બહાર નિકાસ ન થતાં ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
જ્યારે બનાસકાંઠા જીલ્લામાં બુધવારએ અચાનક રાત્રે 2 વાગ્યાના સુમારે વાતાવરણમાં પલ્ટો આવવાથી ભારે સૂસવાટા ભર્યાં પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેના કારણે ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે અચાનક ભારે પવન સાથે વરસાદ થતા ખેડૂતોમાં ભારે અફડા-તફડી મચી ગઇ હતી અને તૈયાર પાકોમાં નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. તો અનેક ઘર અને તબેલાના પતરા ઉડ્યા છે. જેમાં લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જેમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે.
બનાસકાંઠામાં દિવસભરની ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે 2 વાગ્યાના સુમારે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાં જીલ્લાના અનેક ડીસા તાલુકાના પેછડાલ, વિઠોદર અને બુરાલ ગામે તબેલાના પતરાં ઉડતાં ભારે નુકશાન થયું. તાલુકાઓમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થતાં ખેડૂતોમાં અફડા-તફડી મચી ગઇ હતી.
જોકે, અત્યારે શક્કરટેટી, તરબૂચ, બાજરી અને મગફળી જેવા તૈયાર પાકમાં વરસાદને લઇ ખેડૂતોને મોટું નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. અગાઉ પણ તાઉ-તે વાવાઝોડાની અસરને લઇ જીલ્લાના અનેક તાલુકાઓમાં ખેડૂતોના પાકને નુકશાન થયું હતું. જોકે, ફરી તૈયાર પાકોમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે તેમજ ઘરવખરી માલ-સામાનને પણ નુકશાન થવા પામ્યું હતું.
જ્યારે ડીસામાં ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી બાજરી, મગફળી, તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર કર્યું હતું. તેમાં પણ ખેડૂતોને ભાવ ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. તો બીજી તરફ રાત્રે આવેલા ભારે પવન સાથે વરસાદના કારણે અનેક જગ્યાએ બાજરી પણ ઢળી પડી હતી. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં વ્યાપક નુકશાન થવા પામ્યું છે અને ખેડૂતો સરકાર પાસે સહાયની માંગણી કરીને બેઠા છે.
આ અંગે જીલ્લાના અલગ અલગ તાલુકામાંથી બનાસકાંઠા અપડેટના દર્શકોએ જણાવ્યા અનુસાર, બનાસકાંઠા જીલ્લાના અનેક તાલુકાઓમાં રાત્રે 2 વાગ્યે અચાનક ભારે ચક્રવાતી પવન સાથે જારદાર વરસાદ પડવાથી બાજરીના પાકનો ઓથ વળી ગયો હતો. જ્યારે આંબા પરથી કેરીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
જ્યારે થરાદ તાલુકામાં અચાનક વરસાદ અને વાવાઝોડું આવતાં ઉભો પાક જમીનદોસ્ત થયો હતો. ખુલ્લા છાપરાઓ ધરાશાયી થતાં લાખોનું ખેડૂતોને નુકશાન થયું હતું તેમજ દિયોદર તાલુકાના ધનકવાડા અને આજુબાજુ ગામડાઓમાં જારદાર વાવાઝોડા સાથે વરસાદી ઝાપટું પડતાં ઠંડક પ્રસરી ગઇ હતી.
જ્યારે ડીસા તાલુકાના જારાપુરા ગામમાં વાવાઝોડા સાથે જારદાર વરસાદ ખાબકતાં ખેડૂતોને બાજરી અને મગફળીના પાકમાં વ્યાપક નુકશાન થયું હતું તેમજ માલગઢ ગામમાં અચાનક રાત્રે 2 વાગ્યાના સુમારે વાતાવરણ પલ્ટાતાંની સાથે વાવઝોડા સાથે વરસાદી ઝાપટું પડતાં શક્કરટેટી, તરબૂચ, બાજરી અને મગફળી તેમજ શાકભાજીમાં ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. ડીસા તાલુકાના તાલેગંજ, બલોધર અને આજુબાજુના ગામડાઓમાં મધ્યરાત્રિએ આવેલા સૂસવાટા ભર્યાં પવન સાથે વાવાઝોડા સાથે વરસાદે બાજરીના પાકને જમીનદોસ્ત કરતાં ભારે નુકશાન થયું હતું.
From – Banaskantha update