આજના આધુનિક અને ભૌતિકતાવાદના સમયમાં લોકો પૈસા કમાવવા માટે પરિવારથી દૂર હજારો કિલોમીટર જઈને વસતા હોય છે પરંતુ બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદનો 10 પાસ યુવક હૈદરાબાદ અને મુંબઇ જેવી માયાનગરી છોડીને પરિવારની સાથે રહેવા માટે પરત વતન આવી ગયો અને અહીં આવી તબેલાનો વ્યવસાય કરીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે.
આમ તો બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી વારંવાર ખેતીમાં નુકસાન થતા ખેડૂતો પશુપાલન તરફ વળ્યા હતા.
જે વાત દૂધનો વ્યવસાય વધતા બનાસકાંઠા જિલ્લામાં એશિયાની નંબર વન બનાસ ડેરી ની સ્થાપના કરવામાં આવી હતી અને જેની સ્થાપના થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દૂધમાં સારી આવક મળતા ખેતી જોડી પશુપાલન તરફ પડ્યા હતા.
જોતજોતામાં આજે બનાસકાંઠાનું દૂધ સમગ્ર વિશ્વમાં પહોંચી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો હાલ દૂધમાંથી સારી એવી કમાણી કરતા હોવાના કારણે આજે દિવસેને દિવસે બનાસકાંઠા જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય વધી રહ્યો છે.
બનાસડેરી દ્વારા પણ પશુપાલકોને દૂધના સારા ભાવ આપવામાં આવતા હોવાના કારણે આજે પશુપાલકોને સારો એવો ફાયદો પણ થયો છે જેના કારણે અનેક લોકો ભણેલા-ગણેલા હોવા છતાં પણ આજે બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન તરફ વળી રહ્યા છે.
થોડા સમય પહેલાં જ સૌથી વધુ દૂધ ધરાવતા પશુપાલનમાં પણ બનાસકાંઠા જિલ્લાની 10 મહિલાઓનો નંબર આવ્યો હતો ત્યારે ચોક્કસથી કહી શકાય કે આજે દિવસેને દિવસે પશુપાલન ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો પ્રગતિ કરી રહ્યો છે.
આ છે બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા થરાદ તાલુકાના ઉંટવેલીયા ગામનો 30 વર્ષીય યુવાન જેનું નામ છે મહેન્દ્રસિંહ જવારસિંહ વાઘેલા, આમ તો તેઓ ખેડૂત પુત્ર છે અને દસ ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ અહીં ખેતીમાં કંઈ ઝાઝું ન મળતું હોવાના કારણે તેઓ ધંધાર્થે હૈદરાબાદ જઈને વસ્યા.
સાત વર્ષ સુધી હૈદરાબાદમાં તેઓએ પ્લાસ્ટિકનો વેપાર કર્યો ત્યાં ધંધો મધ્યમ ચાલતો હતો જેથી બાદમાં તેઓ મુંબઈ આવી ગયા અને ત્યાં પણ ત્રણ વર્ષ સુધી ડાયમંડનો બિઝનેસ કર્યો હતો જોકે મુંબઈમાં ડાયમંડના વ્યવસાયમાં સારી કમાણી થતી હતી.
પરંતુ પરિવારની ખોટ તેઓને હંમેશા સાલતી હતી લાખો રૂપિયા કમાતા હોવા છતાં પણ ક્યાંક પરિવારની યાદ તેઓને હંમેશા સતાવતી રહેતી હતી બસ એટલે તેઓ મુંબઈ છોડીને પોતાના વતન પરત ઉંટવેલિયા ગામે આવી ગયા.
અનેક ધંધામાં નુકસાન વેઠ્યા બાદ મહેન્દ્ર પોતાના વતન પરત ફર્યા હતા અને અહીં આવ્યા બાદ પરિવારનું ગુજરાન ચલાવવા માટે કયો વ્યવસાય કરવો એ એક મોટી સમસ્યા હતી પરંતુ અહીં તેમના મિત્રોએ પશુપાલનનો વ્યવસાય કરવાની સલાહ આપી.
મહેન્દ્રસિંહ ખૂબ જ મહેનતુ અને હોશિયાર હતા જેથી તેઓએ 2016ની સાલમાં સૌ પ્રથમ બે ગાયો લાવીને પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો શરૂઆતના એક વર્ષમાં તેમને કંઈ જાજો અનુભવ ન હોવાના કારણે તેઓએ નુકસાન વેઠવું પડ્યું હતું.
પરંતુ આ એક વર્ષની અંદર પશુપાલનનો તેમને ખૂબ જ બહોળો અનુભવ થઈ ગયો હતો અને ત્યારબાદ તેઓ એક પછી પશુઓ ખરીદતા ગયા અને આજે તમની પાસે 45 પશુઓનો તબેલો છે.
આ પશુઓને રાખવા માટે પણ તેઓ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે પશુઓને ઉનાળામાં ગરમીથી કોઈ તકલીફ ન પડે તે માટે તેમને શેડ બનાવ્યો છે અને સતત પંખા નીચે પશુ આરામ કરી શકે તે માટેની વ્યવસ્થા કરી છે. પશુઓને દોહવા માટે પણ મશીનનો ઉપયોગ થાય છે જેથી ઓછા ખર્ચ અને ઓછા મજૂરોએ વધુ કામ લઈ શકાય.
પશુપાલનના વ્યવસાયમાં મહેન્દ્રસિંહ આજે રોજનું 350થી 400 લીટર જેટલું દૂધ ડેરીમાં ભરાવે છે અને મહિને અંદાજે એક લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે, મહેન્દ્રસિંહ માનવું છે કે પશુપાલનનો વ્યવસાય એવો છે કે અત્યારે લોકડાઉન હોવા છતાં પણ ઘરે બેઠા બેઠા આરામથી પશુપાલનનો વ્યવસાય કરી શકે છે.
અન્ય કોઈ ખાનગી કંપનીમાં કામ કરતા હોઈએ તો આઠથી દસ કલાક સુધી મજૂરી કરવી પડતી હોય છે પરંતુ આ પશુપાલનના વ્યવસાયમાં સવારે 3 કલાક અને સાંજે 3 કલાક એમ 6 કલાક કામ કરવાથી ખૂબ જ સારી કમાણી કરી શકાય છે અને પોતાના પરિવાર સાથે રહી જીવનનો આનંદ પણ માણી શકાય છે.
From – Banaskantha Update