દિલ્હીમાં કોરોનાના કેસ હવે દરરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. અહીં શનિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24,375 નવા કેસ નોંધાયા છે. એટલે કે દર કલાકે એક હજારથી વધુ પોઝિટિવ મળ્યા. એક દિવસમાં સૌથી વધુ લોકો પોઝિટિવ મળવાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. તેવી જ રીતે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 167 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આ અત્યાર સુધીની સૌથી મોટી મૃત્યુઆંક પણ છે. એક આંકડા એ પણ ડરાવે છે કે દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 24.56% પર પહોંચી ગયો છે. એટલે કે, દર 100 પરીક્ષણોમાં 25 પોઝિટિવ મળી રહ્યા છે. આ દરમિયાન રવિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
વધતાં કોરોનના કહેર વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતાં જણાવ્યુ હતું કે કોરોનાથી વધુ ચિંતાજનક વાત એ છે કે દિલ્હીમાં પોઝિટિવિટી રેટ વધીને 30% થઈ ગયો છે. જ્યારે 24 કલાક પહેલા તે 24% હતો. દિલ્હીમાં કોરોના દર્દીઓ માટે જે બેડ રિઝર્વ છે તે પણ ખૂબ જ ઝડપથી સમાપ્ત થઈ રહ્યા છે. આઈસીયુ બેડની પણ અછત ઊભી થઈ રહી છે. દિલ્હીમાં હવે માત્ર 100થી પણ ઓછા આઈસીયુ બેડ બચ્યા છે.
કેજરીવાલે વધુમાં કહ્યું, દિલ્હીમાં ઓક્સિજનની પણ અછત છે. અમે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં રહીએ છીએ, તેઓ તેમની પાસેથી મદદ મેળવી રહ્યા છે, તેમને જે મદદ કરી છે તેના માટે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. ડો. હર્ષવર્ધન સાથે ગઇકાલે સાંજે વાત કરી હતી, અમે તેમને કહ્યું કે અમને વધુ બેડની જરૂર છે. કેજરીવાલે વધુમાં જણાવ્યુ હતું કે અમે અમિત શાહ સાથે વાત કરીને તેમને પણ કહ્યું હતું કે દિલ્હી માટે વધુ બેડની જરૂર છે.
સીએમ કેજરીવાલે કહ્યું, દિલ્હીમાં કેન્દ્ર સરકારના કુલ મળીને 10000 બેડ છે, જેમાંથી ફક્ત 1800 ગેડ જ કોરોના માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. અમારી વિનંતી છે કે કોરોના માટે ઓછામાં ઓછા 7000 બેડ રિઝર્વ રાખવામાં આવશે. આગામી બે-ત્રણ દિવસમાં, અમે 6000 ઓક્સિજન બેડ તૈયાર કરી લઈશું. ઘણી હોસ્પિટલોમાં હાઇ ફ્લો ઓક્સિજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ. યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કોમન વેલ્થ ગેમ, રાધા સ્વામી સત્સંગ, શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતું કે દિલ્હીમાં કોરોનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. તેમણે કહ્યું, ‘દિલ્હીમાં સક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 24 હજારથી વધુ કેસ નોંધાયા છે. એક દિવસમાં, કેસ 19,500 થી વધીને 24,000 થઈ ગયા છે. તેથી, પરિસ્થિતિ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક છે. ”
કેજરીવાલ સરકારે હરિદ્વાર કુંભથી દિલ્હી પરત ફરનારાઓ માટે 14 દિવસની ક્વોરંન્ટાઇન જરૂરી કરી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ એક આદેશ આપ્યો છે કે જો તમે 4 એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં કુંભ ગયા છો અથવા તો 18 મી એપ્રિલથી 30 એપ્રિલ સુધી જો તમે કુંભ જઇ રહ્યા છો, તો આ લોકોએ તેમની તમામ માહિતીનું નામ, દિલ્હીનું સરનામું, ફોન નંબર આઈડી પ્રૂફ, દિલ્હીથી રવાના થવાની તારીખ અને દિલ્હી પાછા આવવાની તારીખ વગેરે માહિતી આ આદેશ જાહેર થયાના 24 કલાકમાં www.delhi.gov.in પર અપલોડ કરવાની રહેશે.
દિલ્હીને અડીને આવેલા નોઈડામાં પણ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. 35 કલાકનો કર્ફ્યુ પણ લગાવાયો છે. દિલ્હી નોઈડા સરહદની ચારે બાજુ બેરીકેડિંગ કરવામાં આવ્યું છે. ફક્ત એક નાનો રસ્તો ખોલવામાં આવ્યો છે, જ્યાં બધા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ જ પોલીસ નોઇડામાં પ્રવેશની મંજૂરી આપી રહી છે. નોઇડામાં છેલ્લા 24 કલાકમાં 17 એપ્રિલના રોજ 402 કેસ નોંધાયા હતા.
કોરોના સંક્રમણની ખૂબ ઝડપી ગતિને ધ્યાનમાં લેતા કારોબારી સંસ્થા કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ દિલ્હીના નાયબ રાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સમક્ષ દિલ્હીમાં ઓછામાં ઓછા 15 દિવસના લોકડાઉન લગાવવાની માંગ કરી છે. કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે છેલ્લા એક મહિનાના આંકડા તે વાતની સાબિતી છે કે જો કોરોના ચેઇનને તાત્કાલિક તોડવામાં નહીં આવે તો દિલ્હીમાં કોરોના વિસ્ફોટ થવાનો નક્કી જ છે.
From – Banaskantha Update