અલગ-અલગ 34 પ્રકારના વન્ય પ્રાણીઓના મૃગયાચિન્હો વેચવાની ઘટના પ્રથમવાર બની છે : વેપારીની અટકાયત કરી તેને રીમાન્ડ અર્થે ડીસા કોર્ટમાં રજૂ કર્યો
બનાસકાંઠાના ડીસામાં ગાંધીચોક વિસ્તારમાંથી વન સંરક્ષણ હેઠળ આવતી પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવી છે.
જેમાં વન વિભાગની ટીમે વેપારી પાસેથી વાઘ-સિંહના નખ, દાંત, શાહુડીના પીંછા, શિયાળના આંતરડા સહીત 34 જાતના વન્ય પ્રાણીઓના મૃગ અવશેષો જપ્ત કર્યાં છે. આ સાથે વેપારીની અટકાયત કરી તેને રીમાન્ડ અર્થે ડીસા કોર્ટમાં રજૂ કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી તાંત્રિક વિધીના હેતુસર જંગલી પ્રાણીઓના શારીરિક અવશેષોનું વેચાણ થતું હોવાની વાત બનાસકાંઠા વન વિભાગના અધિકારીઓને મળી હતી.
જેના આધારે જીલ્લાના મદદનીશ વન સંરક્ષક ભરતભાઇ ચૌધરી, આર.એફ.ઓ. એલ.ડી. રાતડા અને મુકેશભાઇ માળી સહીતની ટીમે વોચ ગોઠવી હતી.
જેમાં ડીસાના ગાંધીચોક વિસ્તારમાં એક શખ્સ જંગલી પ્રાણીઓના મૃગ અવશેષ વેચતો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમે તેને ઝડપી પાડયો હતો.
ઝડપાયેલ શખ્સ અર્જુન દિનેશચંદ્ર મોદી પાસેથી વન વિભાગની ટીમે વાઘ અને સિંહના નખ તેમજ દાંત, શાહુડીના પીંછા, શિયાળના આંતરડા હીત શિડયુલ વનમાં આવતાં પ્રતિબંધિત વન્યજીવોના 34 જાતના મૃગ અવશેષ જપ્ત કર્યાં હતા.
આ અંગે મદદનીશ વન સંરક્ષક ભરતભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘ડીસામાં એક શખ્સ વન્ય જીવ સંરક્ષણ એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓ વેચતો હોવાની બાતમીના આધારે તપાસ કરી અર્જુન મોદીને ઝડપી પાડયો હતો.
તેની પાસેથી 34 પ્રકારના અલગ-અલગ પ્રતિબંધિત વન્યજીવોના અવશેષો મળી આવતાં તેની અટકાયત કરી ડીસાની ચીફ જુડીશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં રીમાન્ડ માટે રજૂ કર્યો છે.’
પ્રાથમિક તપાસ કરતાં આ વેપારી વન્ય પ્રાણીઓના અવશેષ રૂ. 100 થી લઇ રૂ. 1,000 સુધીમાં વેચતો હતો. આટલી સસ્તી કિંમતમાં આવા જંગલી પ્રાણીઓના અવશેષો મળવા કે વેચવા તે પણ તપાસનો વિષય છે.
કદાચ આ વેપારી ગ્રાહકોને ઓરીજનલ કહી નકલી બનાવટી અવશેષ પણ વેચી છેતરપિંડી આચરતો હોય તેવું પણ બની શકે.
બનાસકાંઠા જીલ્લામાં આટલા અલગ-અલગ 34 પ્રકારના વન્ય પ્રાણીઓના મૃગયાચિન્હો વેચવાની ઘટના પ્રથમવાર બની છે.
જેથી વન વિભાગની ટીમ આ આરોપી કોની પાસેથી લાવતો હતો અને અત્યાર સુધી કેટલાં ગ્રાહકોને કેટલી માત્રામાં વેચ્યા છે તે અંગે પણ તપાસ ચલાવી રહી છે.
From-Banaskantha update