રાજ્ય સરકાર ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને ગૌપોષણ યોજનાના ₹500 કરોડ આપવામાં બીજી વખત છેતરી ગઈ હોવાથી ડીસાના પાંજરાપોળ સંચાલકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને PMO ઓનલાઈનના માધ્યમથી ફરિયાદ કરી સરકારે જાહેર કરેલી ગૌ પોષણ યોજનાની રકમ તાત્કાલિક અપાવવામાં મદદ કરવા જણાવ્યું.
ગુજરાત સરકારે ગત બજેટમાં રાજ્યભરની 1700 જેટલી ગૌશાળાઓમાં આશ્રય લઈ રહેલા આશરે 4,50,000 અબોલ જીવોના નિભાવ માટે રૂપિયા 500 કરોડની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જાહેર કરી હતી. જોકે, સરકારે સાત મહિના સુધી ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને એક પણ રૂપિયો ન ફાળવતા અનેક રજૂઆતો બાદ ગૌશાળા સંચાલકોએ આંદોલન શરૂ કર્યું હતું.
ગત તારીખ 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાત્રાધામ અંબાજી ખાતે આવવાના હતા ત્યારે ગૌ સેવકોએ મોટી સંખ્યામાં વિરોધ નોધાવવાનો કાર્યક્રમ કર્યો હતો. જોકે, ગૌ સેવકો વડાપ્રધાનનો વિરોધ કરે તે અગાઉ સરકારે મંત્રીઓ, આઇ.એ.એસ અને આઇ.પી.એસ અધિકારીઓને મધ્યસ્થી તરીકે રાખી વડાપ્રધાન અંબાજીથી ગૌપોષણ યોજનાનો પ્રારંભ કરાવશે તેવી જાહેરાત કરી હતી.
*File video
જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૌ પોષણ યોજનાની જાહેરાત કરી માત્ર પાંચ ગૌશાળાઓને પ્રતિક રૂપે સહાયના ચેક અર્પણ કર્યા હતા અને સરકારે કહ્યું હતું કે રાજ્યની તમામ ગૌશાળા પાંજરાપોળોને બે-ત્રણ દિવસમાં ગૌપોષણ યોજનાના ચેક મળી જશે. જોકે, 12 દિવસ વીતી જવા છતાં હજુ સુધી એક પણ ગૌશાળા પાંજરાપોળોને સહાયનો ચેક મળ્યો નથી જેમાં પણ વડાપ્રધાનના હસ્તે આપવામાં આવેલા પ્રતીક ચેક વાળી ગૌશાળાઓને પણ એક પણ રૂપિયો હજુ સુધી મળ્યો નથી.
જ્યારે સરકારે બહાર પાડેલા પરિપત્રમાં ચોક્કસ જમીન અને ચોક્કસ પશુઓની સંખ્યા ધરાવતી ગૌશાળાઓને જ લાભ મળશે તેવી શરતો રાખતા મોટાભાગની ગૌશાળાઓ આ લાભથી વંચિત રહે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
આમ ગુજરાત સરકારે રાજ્યના ગૌ સેવકો અને ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને મૂર્ખ બનાવ્યા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ અપમાન કર્યું છે. જેથી આ મુદ્દે સંચાલક જગદીશભાઈ સોલંકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી તાત્કાલિક મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાયના નાણાં રાજ્ય સરકાર પાસેથી અપાવવાની માંગણી કરી છે.
From – Banaskantha Update