વર્ષ-2021 માં ફરીથી ગ્રાહકે સોલાર રૂફ ટોપ યોજનામાં અરજી કરતાં યુ.જી.વી.સી.એલ. એ ફરીથી ગ્રાહક પાસે રૂ. 2,950 ભરાવ્યા હતા : ડીસાની સરદાર પટેલ હાઇસ્કૂલના આચાર્યને ન્યાય મળ્યો
શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ વતી પ્રિતેશ શર્માએ જણાવ્યું હતું કે, ડીસામાં સરદાર પટેલ હાઇસ્કૂલના આચાર્ય નાનજીભાઇ ખરસાણે વર્ષ-2020 માં સોલાર રૂફ ટોપ યોજના હેઠળ ફોર્મ ભરી ઉત્તર
ગુજરાત વીજ કંપનીની પાલનપુર ઓફીસમાં ભરવાના થતાં નાણાં રુ. 2,950 ડીપોઝીટ પેટે જમા કરાવ્યા હતા. પરંતુ કોરોના મહામારીના કારણે યોજનાનો લાભ લઇ શકયા ન હતા.
પરંતુ વર્ષ-2021 માં ફરીથી ગ્રાહકે સોલાર રૂફ ટોપ યોજનામાં અરજી કરતાં યુ.જી.વી.સી.એલ. એ ફરીથી ગ્રાહક પાસે રુ. 2,950 ભરાવ્યા હતા.
જેથી ગ્રાહકે અગાઉ ભરેલ નાણાં રીફંડ માંગતા યુ.જી.વી.સી.એલ. ની પાલનપુર કચેરીના અધિકારીઓએ ધરાર ના પાડતાં ગ્રાહક નાનજીભાઇએ ગુજરાતની જાણીતી ગ્રાહક હીત હક્ક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્માનો ફોનથી સંપર્ક કરી લેખિત ફરિયાદ આપી હતી.
ગ્રાહકની ફરિયાદના અનુસંધાને ગુજરાતના જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવેએ ગ્રાહકને જે સેવા આપી જ નથી તેના નાણાં ગ્રાહક પરત કરવા યુ.જી.વી.સી.એલ. ને તાકીદ કરતી નોટીસ આપી હતી.
યુ.જી.વી.સી.એલ. ને નોટીસ મળતાં જ ઉત્તર ગુજરાત વીજ કંપનીના પાલનપુર હાઇવે સબ ડીવીઝનના નાયબ ઇજનેરે ગ્રાહક પાસેથી તેમના બેંક ખાતાની વિગતો મંગાવી ગ્રાહક પાસેથી સેવા આપ્યા વગર વસૂલ લીધેલ નાણાં રુ. 2,750 પરત આપ્યા છે.
આવા અનેક ગ્રાહકો જાગૃતિના અભાવે ફરિયાદ કરતાં નથી. પરંતુ જો ફરિયાદ કરવામાં આવે તો પરિણામ મળે જ છે. જે આ આચાર્યની ફરિયાદથી અને શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ-ડીસાની કાર્યવાહીથી પ્રતિપાદિત થયું છે.
From-Banaskantha update