પૂર્વ કચ્છના આદિપુરમાં શુક્રવારે સવારે 9 વાગ્યે કેસરનગર પાસેના ધોરીમાર્ગ પર પડાણા નજીકની એક કંપનીમાંથી કર્મચારીઓને મૂકવા જતી પૂજા ટ્રાવેલ્સની ચાલતી લક્ઝરી બસમાં શોર્ટ સર્કીટના પગલે આગ લાગી ઉઠી હતી. ડ્રાયવરની સીટ સામેના વાયરિંગમાંથી આગની શરૂઆત થતાં જ ચાલકે સમય સુચકતા વાપરી બસને થોભાવી દીધી હતી.
તેમજ કર્મચારીઓને ગાડીની નીચે ઉતરી જવાની સૂચના આપી પોતે પણ ઉતરી જતાં જાનહાની ટળી હતી. જો કે, આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આગ સંપૂર્ણ બસમાં ફેલાઈ ગઈ હતી. જેને ગાંધીધામ નગરપાલિકાના બે ફાયર ફાઇટર દ્વારા કાબુમાં લેવામાં આવી હતી.
આ અંગે ટ્રાવેલ્સના મોહિત આહીરે જણાવ્યું હતું કે, ગાંધીધામથી આદિપુર તરફ જતાં સમયે શુક્રવારે સવારે 9 વાગ્યે શોર્ટ સર્કીટના કારણે બસ નં. GJ-10-TX-1205 માં આગ લાગી હતી. પડાણા પાસેની ખાનગી કંપનીમાં કર્મચારીઓને લેવા-મૂકવામાં આ બસ ચાલતી હતી.
આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. જો કે, બસમાં કેટલાં લોકો સવાર હતા એ તમામ મુદ્દેની જાણકારી ટ્રાવેલ્સના પાર્ટનર પાસે હોવાનું તેમણે જણાવ્યું હતું. આગને પગલે ગાંધીધામ નગરપાલિકાના બે ફાયર ફાઈટર દ્વારા ઘટનાસ્થળે પહોંચી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી.
આ અંગે હેમંતભાઈ ગગલાણીએ જણાવ્યું હતું કે, જો કે, અડધો કલાકના સમય દરમિયાન બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ બુઝાવવાની કામગીરીમાં સુધારાઈના ફાયર વિભાગના દીપક ધોરીયા, પાર્થ મહેશ્વરી અને વિજય મહેશ્વરી જોડાયા હતા.
From – Banaskantha Update