ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં લીલીડુંગળી, ફુલાવર અને કોબીજ જેવી શાકભાજીની આવક વધી જતાં ભાવ અચાનક જ ગગડી રહ્યાં છે. જેથી શાકભાજીના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો ગૌશાળા પાજરાપોળમાં ફેંકવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠાના ખેડૂતો દર વર્ષે શિયાળાની શરૂઆત થતાં જ શાકભાજીના વાવેતરની શરૂઆત કરી દેતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે પણ ખેડૂતોએ પોતાના પાકમાં સારી આવકની આશાએ મોટા પ્રમાણમાં લીલાં શાકભાજીનું વાવેતર કર્યું હતું. પરંતુ ખેડૂતોને એ ખબર ન હતી કે બજારમાં શાકભાજીની આવક વધતા ભાવમાં ઘટાડો થશે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સૌથી વધુ લીલી ડુંગળી, ફૂલાવર, કોબીજ જેવા પાકોનું ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું અને બિયારણના ભાવ પણ ઊંચા હોવા છતાં ખેડૂતોને નફો થશે તેવી આશા હતી. હાલમાં શાકભાજીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.
વેપારીઓને પણ હાલમાં શાકભાજીનો કયા નિકાલ કરવો તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. જેના કારણે વેપારીઓ હાલ ખેડૂતો પાસેથી શાકભાજી ઓછી ખરીદવાનું શરૂ કર્યું છે. આમ લીલીડુંગળી, ફુલાવર અને કોબીજ જેવા પાકો 3 થી 6 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે જેથી ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે અને મજુરોની મજુરો પણ પોષાતી નથી. જેથી ખેડૂતો ડીસા તાલુકાની માલગઢની શ્રી રામાબાપુ ગૌશાળા, ટેટોડા ખાતે શ્રી રાજારામ ગૌશાળા તેમજ કાટ પાંજરાપોળ સહિતની ગૌશાળાઓમાં શાકભાજી ગાયોને ખવડાવી રહ્યા છે.
છેલ્લાં એક સપ્તાહ ઉપરાંતના સમયથી ડીસામાં ખેડૂતોને શાકભાજીનો પોષણક્ષમ ભાવ ન મળતાં ડીસાના માલગઢ ગામની શ્રી રામાબાપુ ગૌશાળામાં દરરોજ ત્રણથી ચાર ટ્રેક્ટર શાકભાજી ગાયોને ખવરાવવામાં આવે છે તેમ શાંતિભાઇ કચ્છવાએ જણાવ્યું હતું.
શિયાળાની સિઝનમાં શાકભાજીના સારા ભાવ મળશે તેવા આશયથી શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ હાલમાં પોષણક્ષમ ભાવ ન મળતાં શાકભાજી ફેકવાનો વારો આવ્યો છે. જેથી સરકારે ખેડૂતોને સહાય કરવી જોઈએ તેમ ખેડૂત ગોરધનભાઇ માળીએ જણાવ્યું હતું.
From – Banaskantha Update