ગ્રિડ ફેલ થવાને કારણે આખા મુંબઈ રીજન (MMRDA) એટલે કે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પનવેલ સહિતના ઘણા વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો છે, જેનું એક મોટું કારણ ટાટાની વીજપુરવઠો ન હોવાનું જણાવાયું છે. વીજળી ક્યાં સુધી આવશે એ અંગે હાલ ચોક્કસપણે કંઈ કહી શકાય એમ નથી. બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાઈ એન્ડ ટ્રાન્સપોર્ટ(BSET)ના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે ગ્રિડમાં ખરાબીને કારણે શહેરમાં વીજપુરવઠો ખોરવાયો છે.
બેસ્ટ ઈલેક્ટ્રિસિટી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટાટા કડુનામાં ગ્રિડ ફેલ થવાને કારણે વીજળીનો પુરવઠો અટકી ગયો છે. અસુવિધા માટે ખેદ છે. જોકે બેસ્ટ તરફથી એવું જણાવાયું નથી કે વીજળી ક્યારે મળશે. બાંદ્રા, કોલાબા, માહિમ વિસ્તારોમાં સવારે 10 વાગ્યાથી લાઈટ નથી.
મળતી માહિતી પ્રમાણે, 400 કેવીની લાઈનમાં ખરાબી આવી છે. જેના કારણે MIDC, પાલઘર, દહાનૂ વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો છે.
સેન્ટ્રલ રેલવના મુખ્ય જનસંપર્ક અધિકારી CPROએ કહ્યું કે, ગ્રિડ બંધ થવાના કારણે ઉપનગરીય ટ્રેન સેવા પર પણ અસર થઈ છે. ચર્ચગેટ અને વસઈ વચ્ચે પશ્વિમ રેલવેની લોકલ ટ્રેનની સેવાઓ પર પણ અસર થઈ છે.
આ બધાની વચ્ચે ઉર્જા મંત્રી નીતિશ રાઉતે કહ્યું કે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં વીજળનો પુરવઠો ફરી ચાલું કરવાનું કામ ચાલી રહ્યું છે. એક કલાકમાં વીજળી આવી જશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે NSIએ એક ટ્વીટમાં કહ્યું કે, ત્યાં સામાન્ય રીતે કામ થઈ રહ્યું છે.
મુંબઈમાં હાલ લગભગ દરરોજ 3000-3200 મેગાવોટ વીજળીનો વપરાશ થાય છે. જો કે, દિવસ અને રાતમાં વપરાશનો રેશિયો અલગ હોય છે. એક રિપોર્ટ પ્રમાણે, અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમીટેડ મુંબઈ ઉપનગરોમાં 27 લાખ કન્ઝ્યુમર્સને વીજળી આપે છે. જેમાં લગભગ 21 લાખ ઘરેલુ ગ્રાહકો છે. સાથે જ ટાટા પાવર મુંબઈમાં લગભગ 7 લાખ ગ્રાહકોને વીજળીનો પુરવઠો પુરો પાડે છે.