બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ચારના મફતપુરા વિસ્તારમાં દર વર્ષ વરસાદી પાણીમાં મોટા ભાગના ઝુંપડા પાણીમાં ગરકાવ થઈ જાય છે. ભૂગર્ભ ગટરની કામગીરી પણ ન થવાથી તેમજ વરસાદી પાણીના નિકાલ માટે અનેક વખત રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા ધ્યાન ઉપર ના લેતા આજે મફતપુરા વિસ્તારના લોકોએ થાળી ચમચી લઇ પાલનપુર નગરપાલિકામાં તંત્રનાં કાન ખોલવા પહોંચ્યા હતા.
મફતપુરા વિસ્તારમાં લોકોએ થાળી ચમચી વગાડી નગરપાલિકા ગજવી હતી. અને નગરપાલિકાની બહાર જ બેસી ગયા હતા. નગરપાલિકા સતાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે તમામ કામગીરી હાથ ધરાઈ તેવી માંગ કરી હતી.
મફતપુરા વિસ્તારના અગ્રણીએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર ચારની અંદર છેલ્લા 35થી 40 વર્ષથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત છે. અમે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છીએ. આજે કંટાળીને અમે થાળી ચમચી લઈ નગરપાલિકાએ આવ્યા છીએ. અહીંયા ભૂગર્ભ ગટરની કામગીરી પણ નથી થતી. અનેક વખત રજુઆત કરવા છતાં કામો મંજૂર થઇ ગયા હોવા છતાં કામો કોન્ટ્રાક્ટર દ્વારા પૂરા કરવામાં આવતા નથી. અનેક વખત કોર્પોરેટરને મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું નિવારણ આવતું નથી.
પાલનપુર નગરપાલિકાના મફતપુરા વિસ્તારની અગ્રણી મહિલાએ જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી તકલીફ છે. પાણીની, ભૂગર્ભ ગટરની, વરસાદના પાણીનો નિકાલ કરો અમારે નાના છોકરા બે વાગ્યે વરસાદ આવે ત્રણ વાગ્યે વરસાદ આવે અમને તકલીફ થાય છે. આનો નિકાલ કરો અમારા ઘરમાં પાણી ઘૂસી જાય છે. અમારી એક જ તકલીફ છે કે ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ કરો, ચેમ્બરો ભરાઈ જાય છે તેથી ઘરમાં ગંદકી થાય છે. કચરો અમારા ઘરમાં પેસી જાય છે. નાના છોકરાઓ ક્યાં જાય. તથા રાત્રિના પાણી ભરાઈ જાય છે તેથી ઘરમાં અમને તકલીફો થાય છે. એટલે અમારી સમસ્યા એક જ છે કે પાણીનો નિકાલ કરો.
From – Banaskantha Update