દાંતીવાડા ડેમનું પાણી 50 ટકા કેનાલમાં અને 50 ટકા નદીમાં છોડવામાં આવે તો તે ચેકડેમ થકી નદીના પટ નજીક આવેલા બનાસકાંઠા જીલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોના તળ ઉંચા આવી શકે તેવી સ્થિતિ છે
બનાસકાંઠા જીલ્લામાંથી પસાર થતી બનાસ નદીમાં પાણી છોડવાની માંગ અને ચેકડેમ બનાવી ભૂગર્ભ જળ ઉંચા લાવવાની માંગ સાથે સોમવારે કાંકરેજ સહીતના વિસ્તાર ખેડૂતો પાલનપુર પહોંચી જીલ્લા
કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. જો ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠા જીલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નિર્ભર જીલ્લો છે. જોકે, જીલ્લામાં દિવસેને દિવસે ભૂગર્ભ જળ ઉંડા જઇ રહ્યા છે. જેને લઇ ખેડૂતોની તકલીફ દિવસેને દિવસે વધી રહી છે.
ત્યારે બનાસકાંઠા જીલ્લામાંથી પસાર થતી જીવાદોરી સમાન બનાસ નદીમાં પાણી છોડવાની અને નદી વિસ્તારમાં ઠેર-ઠેર ચેકડેમ બનાવવાની માંગ સાથે કાંકરેજ વિસ્તાર સહીત બનાસ નદીના પટ નજીક
આવેલા વિસ્તારના ખેડૂતો સોમવારે પાલનપુર જીલ્લા કલેકટર કચેરીમાં પહોંચ્યા છે અને કલેક્ટર કચેરી આગળ વિરોધ પ્રદર્શિત કરી જીલ્લા કલેકટર આનંદ પટેલને આવેદનપત્ર પાઠવી ત્વરીત માંગ ઉકેલવા રજૂઆત કરી છે.
તાજેતરમાં સમગ્ર જીલ્લામાં સારો એવો વરસાદ થયો છે અને દાંતીવાડા ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક પણ થઇ છે. જોકે, ડેમમાંથી કેનાલ દ્વારા છોડાતું પાણી સીધું પાટણ જીલ્લાના વિસ્તારોમાં મળી રહ્યું છે.
ત્યારે જો બનાસ નદી વિસ્તારમાં ચેકડેમ બનાવવામાં આવે અને દાંતીવાડા ડેમનું પાણી 50 ટકા કેનાલમાં અને 50 ટકા નદીમાં છોડવામાં આવે તો તે ચેકડેમ થકી નદીના પટ નજીક આવેલા બનાસકાંઠા જીલ્લાના
અનેક ગ્રામ્ય વિસ્તારોના તળ ઉંચા આવી શકે તેવી સ્થિતિ છે. જેને લઇ પાણીની સમસ્યાથી હાહાકાર પોકારી ઉઠેલા ખેડૂતો જીલ્લા કલેકટર કચેરીમાં પહોંચ્યા છે અને વહેલી તકે બનાસ નદીમાં પાણી છોડવા અને નદી વિસ્તારમાં ચેકડેમ બનાવવા રજૂઆત કરી છે.
From-Banaskantha update