અનાજ બારોબાર સગેવગે ન થાય તે માટે નિગમ દ્વારા પાલનપુરમાં કંટ્રોલ રૂમ તૈયાર કરાયો : માલ ગોડાઉન સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાશે
ગરીબોનું અનાજ બારોબાર સગેવગે ન થાય તે માટે પુરવઠા નિગમ દ્વારા બનાસકાંઠાનો કંટ્રોલ રૂમ પાલનપુરમાં તૈયાર થયો છે.
જેના પગલે જીલ્લાના માલ ગોડાઉન હવે સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા રાહત દરે અને વિનામૂલ્યે ગરીબો સુધી અનાજ પહોંચાડવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જોકે, પુરવઠા માલ ગોડાઉનથી જ ભૂતકાળમાં ગેરરીતિ આચરાતી હોવાથી અન્ન અને પુરવઠા નિગમે ગુજરાતના તમામ 33 જીલ્લાઓમાં જીલ્લા મથકે કંટ્રોલ રૂમ બનાવવા તૈયારીઓ આદરી છે.
જેનું એક સાથે રાજ્યકક્ષાએ લોન્ચિંગ કરાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘પાલનપુરના માલ ગોડાઉનમાં સી.સી.ટી.વી. કેમેરા માટેનું કેબલ નાખી દેવામાં આવ્યો છે.’
તેનું કંટ્રોલ જીલ્લા કલેકટર કચેરી સ્થિત નવા બનાવેલા કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે. જ્યારે અન્ન અને પુરવઠા નિગમના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘જીલ્લા કલેકટર પાસે કંટ્રોલ રૂમ બનાવવા માટે જગ્યાની માંગ કરવામાં આવતાં ભોંય તળીયે ચૂંટણી શાખાની બાજુમાં કંટ્રોલ રૂમ માટેની જગ્યા આપવામાં આવી છે.
જ્યાં 4 એલ.ઇ.ડી. સ્ક્રીન ગોઠવવામાં આવ્યા છે. જ્યાંથી જીલ્લાના તમામ 14 તાલુકાના માલ ગોડાઉન પરની અવર-જવર કેપ્ચર કરવામાં આવશે. અત્યાધુનિક એચ.ડી. ક્વોલિટીના કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવનાર છે. સમગ્ર પ્રોજેક્ટનું ટૂંક સમયમાં લોન્ચિંગ કરાશે.’
From-Banaskantha update