કોલેજના દરવાજા આગળ ટક્કર મારી ફરાર થઇ ગયો : પોલીસે નાસી છૂટેલા સ્કોર્પિયો જીપના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
થરાદના ડેલ ગામનો યુવક પત્નીને સોમવારે સવારે થરાદમાં આંગણવાડીની બેઠકમાં મૂકવા આવ્યા હતા. ત્યારે થરાદ-મીઠા રોડ ઉપર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના દરવાજા નજીક સ્કોર્પિયો ચાલક ટક્કર મારી સ્કોર્પિયો લઇ ફરાર ગયો હતો. સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે, થરાદ તાલુકાના ડેલ ગામના અમરતભાઇ વાઘજીભાઇ ઓઝા સોમવારે સવારે થરાદમાં આંગણવાડીની બેઠક હોય પોતાની પત્ની ગુણીબેનને થરાદ મૂકવા માટે આવ્યા હતા.
આ વખતે થરાદ-મીઠા રોડ ઉપર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના દરવાજા નજીક તેમના નં. GJ-08-BK-1638 ના બાઇકને રોડની સાઇડો જોયા વગર પોતાની જીપ હંકારી નં. GJ-27-CF-8055 ની
સ્કોર્પિયોના ચાલકે ટક્કર મારી હતી. આથી રોડ પર પટકાયેલા અમૃતભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને તાત્કાલીક સારવાર અર્થે થરાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.
તે દરમિયાન બપોરના 1:30 વાગ્યાના સુમારે તેમનું બેભાન અવસ્થામાં જ કરુણ અને કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઇ શૈલેષભાઇ વાઘજીભાઇ ઓઝા (રહે. ડેલ, દેવડાવાસ, થરાદ)એ પોલીસ
મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે નાસી છૂટેલા સ્કોર્પિયો જીપના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે શહેર અને પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઇ છે.
From-Banaskantha update