ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં નામના ધરાવતી જાણીતી ગ્રાહક, હીત, હક્ક અને રક્ષક સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ સમગ્ર જીલ્લામાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તા. 24 મી ડીસેમ્બર નિમિત્તે ગ્રાહક સપ્તાહની ઉજવણી ઠેર-ઠેર સેમિનાર, પરિસંવાદ, રેલી, નિબંધ પ્રતિયોગિતા, શિબિર અને ગ્રામસભાનું આયોજન કરી રહી છે. તે જ શ્રૃંખલામાં ડીસા એસ.સી.ડબલ્યુ હાઇસ્કૂલમાં ભવ્ય સેમિનારનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવળકાર અને શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોરભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કાર્યક્રમમાં શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશભાઇ શર્મા, કાર્યકરો રામભાઇ સૈની, હીતેશભાઇ સોનગરા, પ્રહલાદભાઇ ઠક્કર, શાળાના શિક્ષક ગણ જે.આઇ. પ્રજાપતિ, ડી.વી. પરમાર, એમ.વી. વ્યાસ, જી.બી. ઠાકરડા, પી.એમ. જોષી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરુઆત પ્રાર્થનાથી કરાઇ હતી. ત્યારબાદ મહેમાનોનો પુષ્પગૃચ્છ અને શાબ્દીક સ્વાગત કરાયું હતું. ત્યારબાદ શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશભાઇ શર્માએ સંસ્થા પરિચય આપ્યો હતો. તદુપરાંત જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોરભાઇ દવેએ પોતાની આગવી શૈલીમાં ગ્રાહક કોને કહેવાય, ગ્રાહકોના અધિકારો, ગ્રાહકની ફરજો વિશે ગ્રાહક વર્ગને માહીતગાર કર્યાં હતા.
આ અંગે કિશોરભાઇ દવેએ જણાવ્યું હતું કે, ‘ભારત સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986 ને રદ્દ કરી ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019 અમલમાં લાવી ગ્રાહકોને સશક્ત બનાવેલ છે. નવા ગ્રાહક સુરક્ષા કાયદામાં નવી જોગવાઇઓનો સમાવેશ કર્યો છે. જેમ કે, હવે જો કોઇ વેપારી બીલ ન આપે તો તે અનૈતિક વેપાર પદ્ધતિ કહેવાશે. ગ્રાહક જ્યાં રહેતો હોય તે વિસ્તારમાં જ ગ્રાહક ફરિયાદ કરી શકે છે. ઇ-કોમર્સનો સમાવેશ ગ્રાહક સુરક્ષા કાયદામાં કર્યો છે. તેવી મહત્વની બાબતોથી ગ્રાહકોને માહીતગાર કર્યાં હતા. ન્યાય મેળવવા માટે ગ્રાહકોને જાગૃત થવાની જરૂર છે. કોઇ પણ પ્રકારની શર્મ કર્યાં વગર ગ્રાહકોને છેતરતાં વેપારી કંપની વિરૂદ્ધ ફરિયાદ કરશે તો ગ્રાહકને નિશ્ચિત ન્યાય મળશે. જો ગ્રાહક તેની સામે થતી છેતરપિંડીની ફરિયાદ નહીં કરે તો તેને ન્યાય નહી મળે. એટલે જાગૃત થઇને ન્યાય મેળવવા કિશોર દવેએ ગ્રાહક વર્ગને આહ્વાન કર્યું હતું.’
From – Banaskantha Update