એક મહીલાને ગંભીર હાલતમાં પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ
પાટણની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતાં ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો હોય તેમ શુક્રવારના રોજ વહેલી સવારે સરસ્વતી તાલુકાના અઘાર ગામમાં માઢ પાર્ટી વિસ્તારમાં વિફરેલા આખલાએ માર્ગ
પરથી પસાર થતી 3 મહીલાઓને અડફેટે લેતાં 3 મહીલાઓ પૈકીની 2 મહીલાઓને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે કરુણ મોત નિપજયા હતા. જ્યારે એક મહીલાને ગંભીર હાલતમાં પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે, સરસ્વતી તાલુકાના અખાર ગામમાં શુક્રવારની વહેલી સવારે માઢ પાર્ટીમાં રહેતાં મંગાબેન દીપસિંહ દરબાર (ઉં.વ. આ. 90), કન્સુબેન હેમંતસિંહ દરબાર (ઉં.વ.આ. 50) અને મંગુબેન
(ઉં.વ.આ. 45) બહાર બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યારે અચાનક એક હરાયા બનેલા રખડતાં આખલાએ આ ત્રણેય મહીલા ઉપર હીચકારો હુમલો કરતાં મહીલાઓએ બૂમરાડ મચાવતાં અફડા-તફડી સાથે ભયનો માહોલ સર્જાયો હતો.
ગામના કેટલાંક યુવાનોએ ઘટનાસ્થળે દોડી આવી આ હરાયા આખલાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હરાયા બનેલા આ આખલાએ 3 પૈકી મંગાબેન દીપસિંહ દરબાર અને કન્સુબેન હેમંતસિંહ દરબારને
બરોબરના ખદેડતાં તે બંને મહીલાઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. ત્યારે મંગુબેન દરબારને મહામુસીબતે ગ્રામજનો દ્વારા હરાયા આખલાની ચુંગાલમાંથી છોડાવી તાત્કાલીક સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.
અધાર ગામના માઢ પાર્ટી વિસ્તારમાં હરાયા આખલાએ મચાવેલા આતંકના પગલે ગામમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાટણ સહીત હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતાં ઢોરોનો આતંક સામે આવતાં લોકોમાં આવા રખડતાં ઢોરોની સમસ્યાનો અંત આણવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
From-Banaskantha update