બનાસકાંઠા જીલ્લામાં ઠંડીનો ચમકારો શરૂ થતાં જ તસ્કરોનો તરખાટ : રતનપુરા ગામમાં મકાન માલિકે પીછો કરતાં તસ્કરો બાઇક ઉપર નાસી છૂટ્યા
બનાસકાંઠા જીલ્લામાં ઠંડીના ચમકારા વચ્ચે કાંકરેજ તાલુકાના રતનપુરામાં ખેતરમાં બનાવેલા 2 મકાનની ઓસરીમાંથી તસ્કરો રૂ. 1,09,300 ના મુદ્દામાલની ચોરી કરી હતી.
જ્યારે અમીરગઢ તાલુકાના મહાદેવીયા ગામમાં ખેતરમાં લગાવેલી રૂ. 1,00,000 ની સોલાર પ્લેટની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગેની નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તસ્કરોનું પગેરુ શોધવા માટે આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના રતનપુરા ગામમાં ખેતરમાં મકાન બનાવી રહેતાં બાલાજી પ્રહલાદજી ઠાકોર રાત્રે 12:30 ઓસરીમાં અવાજ થતાં જાગી ગયા હતા.
જ્યાં કબાટ નજીક 3 શખ્સો ઉભા હતા તેમને પૂછતાં ત્રણેય હાઇવે રોડ મહારાજ જીનીંગ તરફ દોડયા હતા અને ત્યાં પડેલા મોટર સાઇકલ ઉપર બેસી ફરાર થઇ ગયા હતા.
તે દરમિયાન બાલાજી ઘરે આવી તપાસ કરતાં ઓસરીમાં પડેલા કબાટમાંથી રૂ. 90,000 નો ચાંદીનો કેડ કંદોરો 500 ગ્રામ, પગમાં પહેરવાના પટ્ટા ચાંદીના 250 ગ્રામ, ચાંદીનું મંગળસૂત્ર 100 ગ્રામ અને પગમાં
પહેરવાના ચાંદીના સાંકળા 500 ગ્રામ, આ ઉપરાંત રૂ. 5,000 નું સોનાનું કડું, રૂ. 2,000 ના મોબાઇલની ચોરી થઇ હતી. જ્યારે તેમના પડોશમાં રહેતાં દશરથજી પોપટજી ઠાકોરના છાપરામાં પડેલી પેટીમાંથી રૂ.
5,000 નું સોનાનું કડું આઠઆની, રૂ. 5,000 ના સોનાના ઝોલા આઠઆની અને રોકડ રકમ મળી બંનેના ત્યાંથી રૂ. 1,09,300 ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે બાલાજી ઠાકોરે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમીરગઢ તાલુકાના મહાદેવીયા ઉમરકોટ ગામમાં રહેતાં માધવભાઇ મકનાભાઇ માળી તેમના ખેતરમાં સૂર્યપ્રકાશથી સંચાલિત સોલાર પેનલ લગાવી હતી.
જ્યાં બુધવારે રાત્રે રૂ. 1,00,000 ની પ્લેટ નંગ-8 ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે અમીરગઢ પોલીસ મથકે માધવભાઇ માળીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update