એકબીજાને મીઠાઇ ખવડાવી મોં મીઠું કરાવ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી તરીકે ઇશુદાન ગઢવીનું નામ જાહેર કરતાં શુક્રવારે ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરી આનંદ ઉત્સવ મનાવ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. ત્યારે આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી ત્રીજા પક્ષ તરીકે ચૂંટણી લડી રહી છે.
આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં પ્રચંડ બહુમતીથી સરકાર બનાવ્યા બાદ ગુજરાતમાં પણ તેમનો જુસ્સો બુલંદ છે અને પાર્ટી દિલ્હી અને પંજાબના મોડલની જેમ ગુજરાતમાં પણ ચૂંટણીની જાહેરાત અગાઉ જ ઉમેદવારોની જાહેરાતો કરી દીધી હતી.
હજુ ભાજપ અને કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવવા તે અંગે મોવડી મંડળની બેઠકો યોજી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 108 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.
ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીના નામથી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે દર વખતની જેમ પોતાનો મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર નહીં કરવાનો મનસુખ બનાવ્યો છે.
ત્યારે આમ આદમી પાર્ટીએ પ્રજા સમક્ષ જઇ તેમનો મુખ્યમંત્રી કેવો હોવો જોઇએ તે મુજબનો સર્વે કરી પ્રજાની ઇચ્છા પ્રમાણે મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો.
જેમાં પાર્ટીએ સર્વે કરાવતાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સહમંત્રી અને ગુજરાતના જાણીતા પત્રકાર તેમજ ગુજરાતી ટી.વી. ચેનલના તંત્રી ઇશુદાન ગઢવીને 73 ટકાથી વધુ મત મળતાં એટલે કે 16.80 લાખ લોકોએ
ઇશુદાન ગઢવીને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે તેવો મત આપતાં આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઇશુદાન ગઢવીના નામની જાહેરાત કરી છે.
જેથી ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા શુક્રવારે સરદાર બાગ આગળ ફટાકડા ફોડી ભવ્ય આતશબાજી કરાઇ હતી. જ્યારે એકબીજાને મીઠાઇ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું અને આનંદ ઉત્સવ મનાવ્યો હતો.
From-Banaskantha update