ડીસાની બનાસ નદીમાં ડીસા-ભીલડી વચ્ચે ચેકડેમ બનાવવામાં આવે તો પાણીના તળ ઉંચા આવે
દાંતીવાડા ડેમથી ભીલડી વચ્ચે બનાસ નદીમાં ચેકડેમ બાંધવા અને વર્ષોથી કેનાલ મારફતે પાટણ જીલ્લામાં અપાતું પાણી બંધ કરી બનાસ નદીને જીવંત રાખવાની ખેડૂતોની માંગ દિવસે દિવસે વધુ ઉગ્ર બનવાનો અણસાર જોવા મળે છે. ખેડૂતોના પાણી માટે આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.
બનાસ નદીમાં વહેતાં પાણીને ડીસા અને ભીલડી તાલુકામા મોટા ચેકડેમ બાંધી રોકવામાં આવે તો કાંઠાના અનેક ગામોને સિંચાઇના પાણીનો લાભ થાય અને ખેતી શક્ય બની શકે અને કેનાલનું પાણી બનાસ નદીમાં છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
વર્ષોથી બનાસ નદીના કાંઠે પાણીના વલખાં મારતાં ખેડૂતો પાણીની માંગ સાથે લડી લેવાના મૂડમાં છે અને કદાચ આવનારા સમયમાં ખેડૂતો કેનાલમાં પાણી ન છોડવું, બનાસ નદીમાં ચેકડેમ બાંધી પાણી બનાસ નદીમા જ છોડાય તેવી માંગ માટે રસ્તે ઉતરે તેવા ભણકાર વાગી રહ્યા છે.
ખેડૂતોએ પાણીની માંગણીઓ કરતાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં કરાયેલી પહેલી માંગણી : ડેમનું પાણી બનાસ નદીમાં આપવામાં આવે અને જો આવું શક્ય ન હોય તો દાંતીવાડા ડેમને ભરેલો રાખવામાં આવે.
જેથી અમારા પાણીના તળ ઉંચા આવે. બનાસકાંઠા જીલ્લો મોટાભાગે ખેતી સાથે પશુપાલનના વ્યવસાય ઉપર નિર્ભર છે. પરંતુ છેલ્લા અનેક વર્ષોથી સિંચાઇના પાણીની ખૂબ મોટી મુશ્કેલી ઉભી થાય છે.
દિવસે દિવસે મોંઘવારીના માર સામે ખેડૂત પરિવારોને હાલના સમયમાં જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ બન્યો છે. પાણી વિના ખેતીમાં આવક નથી કરી શકાતી તો બીજીબાજુ પાણી વિના પશુપાલન કરવું પણ અઘરુ બન્યું છે.
સિંચાઇના પાણીના અભાવે ખેડૂતોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે અને જેના લીધે હવે દાંતીવાડા, ડીસા, ભીલડી સહીત વિસ્તારોના ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે તેવા સમયે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરાય તેવી રજૂઆત કરાઇ છે.
બનાસકાંઠાનું પાણી બનાસકાંઠાને આપો તેવી ખેડૂતોની માંગ દિન-પ્રતિદિન વધુ પ્રબળ બની રહી છે. ખેડૂત પોતાની માંગણીને લઇ ડીઝીટલ પણ બન્યો છે.
ખેડૂતોનું સંગઠન બનાવવા સોશિયલ પ્લેટફોર્મ ઉપર એક ફોર્મ બનાવાયું છે અને એમાં અનેક ખેડૂતોએ એમાં પોતાની વિગતો ભરી છે અને માંગણીઓ માટે પોતાના અભિપ્રાયો પણ આપ્યા છે.
From-Banaskantha update