એન.પી.કે. ખાતર માટે ખેડૂતોનો રઝળપાટ : લાખો રૂપિયાનું બિયારણ બગડવાની શક્યતા
ડીસામાં ખાતરની અછત મામલે કોંગ્રેસમાં પૂર્વ ધારાસભ્યે ગુરુવારે પશુપાલન અને કૃષિ વિભાગના મંત્રીને લેખિત રજૂઆત કરી છે.
ખાતરની તાત્કાલીક વ્યવસ્થા કરવા રજૂઆત કરાઇ છે. જો ખાતરની વ્યવસ્થા નહીં થાય તો ખેડૂતોનું લાખો રૂપિયાનું બિયારણ બગડી જવાની પૂરી સંભાવના છે.
દિવાળી બાદ તુરંત ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં બટાટાનું વાવેતર શરૂ થઇ જાય છે. જેમાં સૌથી વધુ ડીસામાં 60,000 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થાય છે. પરંતુ ખેડૂતો હજુ સુધી બટાટાનું વાવેતર કરી શક્યા નથી.
કારણ કે, બટાટાના વાવેતરમાં સૌથી વધુ જરૂરીયાત એવા એન.પી.કે. ખાતરની ખૂબ જ અછત છે અને ખાતર નહીં મળતાં ખેડૂતોનું વાવેતર અત્યારે અટવાઇ પડયું છે. ખેડૂતો ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે.
આ મામલે હવે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇએ ગુજરાત સરકારના પશુપાલન અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે અને ખાતરની તાત્કાલીક વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી છે.
જો ખાતરની વ્યવસ્થા તુરંત કરવામાં નહીં આવે તો ખેડૂતોનું લાખો રૂપિયાનું બિયારણ બગડી જવાની પૂરી સંભાવના છે અને આખી સિઝન નિષ્ફળ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જેથી સરકાર ખેડૂતોની હામી બની તાત્કાલીક ખાતરની વ્યવસ્થા કરાવે તે મામલે લેખિત રજૂઆત કરી હતી.
From-Banaskantha update