દિવસભર ભારે વાહનોની અવર-જવરથી ચક્કાજામ સર્જાય છે
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં શહેરના પ્રવેશદ્વાર સમા એરોમા સર્કલ પર ટ્રાફીકજામની સમસ્યા કાયમી અને જટીલ બનતાં વાહન ચાલકોની સાથે શહેરીજનોમાં હતાશા પ્રસરાઇ છે.
અહીં દિવસભર ભારે વાહનોની અવર-જવરથી ચક્કાજામ સર્જાય છે. જેને લઇ વાહન ચાલકોને કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે.
પાલનપુરના પ્રવેશદ્વાર ઉપર આવેલા એરોમા સર્કલ પર અમદાવાદ, આબુ ,ડીસા અને પાલનપુર શહેરને સાંકળતો માર્ગ આવેલો છે.
દિવાળી પર્વે ભારે વાહનોની અવર-જવર વધતાં અહીંયા દિવસભર વાહનોનો ધમધમાટ રહે છે. જોકે, અહીં સર્કલ મોટું હોવાને લઇ દિવસ દરમિયાન અનેકવાર ચક્કાજામ સર્જાય છે.
જેને લઇ અહીં વાહનો અને રાહદારીઓને મુશ્કેલીમાં અને જીવનના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે. જોકે, અહીં રોજીંદી બનેલી ટ્રાફીકની સમસ્યાથી પાલનપુરવાસીઓમાં હતાશા પ્રસરી છે.
ત્યારે ટ્રાફીક કર્મીઓ પણ ચક્કાજામની પરિસ્થિતિને પહોંચી વળવા માટે દિવસભર ખડેપગે ઉભા રહીને ટ્રાફીક સિગ્નલ બની ચારે તરફથી આવતાં વાહનોને સાવધાની પૂર્વક પસાર થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.
પરંતુ વાહનોના ભારે ધસારાને લઇ એરોમા સર્કલ પર ટ્રાફીકને કંટ્રોલ કરવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે અને કલાકો સુધી ચારે તરફ વાહનોની લાંબી કતારો જામે છે. જેને લઇ ધ્વની અને વાયુ પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે.
From-Banaskantha update