દેશના 11 કરોડ ગરીબ પરિવારોને ગેસ કનેક્શન આપીને બહેનોને ધૂમાડામાંથી મુક્તિ અપાવી છે
વિશ્વાસથી વિકાસ યાત્રાની ઉજવણી અંતર્ગત પાલનપુર ટાઉન હોલમાં શુક્રવારે લોકસભાના સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે રૂ. 71.9 કરોડના 512 વિકાસ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કરાયું હતું.
જેમાં માર્ગ અને મકાન વિભાગના 20 કામો, ગ્રામ વિકાસ વિભાગના 140 કામો, સામાન્ય વહીવટ વિભાગના 171 કામો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 3 કામો, પંચાયત વિભાગના 178
કામોનો સમાવેશ થાય છે. બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલની લોકસભાની જળ સંસાધન સમિતિના ચેરમેન તરીકે નિમણૂંક થતાં આ કાર્યક્રમમાં સરપંચો દ્વારા તેમનું સન્માન કરાયું હતું.
આ અંગે સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘છેલ્લા 20 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયેલા વિકાસની વાત પ્રજા સમક્ષ મૂકવા માટે વિશ્વાસથી વિકાસ યાત્રાનું આયોજન કરાયું છે.
આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત શુક્રવારે સમગ્ર રાજ્યમાં કરોડોના રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત થયું છે. 2 દિવસ અગાઉ પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલી ડીસા નજીક નાણીમાં રૂ. 1,000 કરોડના ખર્ચથી નિર્માણ પામનાર એરફીલ્ડનું ખાતમુહૂર્ત કરાયું છે.
જેનાથી દેશની સુરક્ષા મજબૂત બનશે અને બનાસકાંઠા જીલ્લાની વિકાસ યાત્રાને વેગ મળશે. યાત્રાધામ અંબાજીને ટુરીઝમ પ્લેસ તરીકે વિકસાવવા સરકારે અભિયાન આદર્યું છે. અંબાજીમાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું વડાપ્રધાનના હસ્તે ખાતમુર્હૂત અને ભૂમિપૂજન કરાયું છે.
ભૂતકાળમાં શહેરોમાં પણ વીજળી, પાણી, સારા રસ્તાઓ અને માળખાકીય સુવિધાઓના ફાંફા હતા. આજે અંતરીયાળ ગામડાઓ સહીત સમગ્ર રાજ્યમાં 24 કલાક વીજળી, પીવાના અને સિંચાઇના પાણીની સુવિધા, પાકા રસ્તાઓ, ઠેર-ઠેર શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.
પરિણામે શિક્ષિત અને સમૃધ્ધ સમાજનું નિર્માણ થઇ રહ્યું છે. જરા ભૂતકાળને યાદ કરો, પીવાના પાણી માટે લોકો ટળવળતા હતા આજે ઘરે-ઘરે નળ કનેક્શન આપીને પાણીની સમસ્યાઓમાંથી છૂટકારો મળ્યો છે.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી ગામડાઓને પાકા રસ્તાઓથી જોડવામાં આવ્યા છે. બાળકોને ભણવા માટે શિક્ષણ મેળવવાની વ્યવસ્થા ન હતી.
આજે તમામ તાલુકાઓમાં સરકારી શાળાઓ, આઇ.ટી.આઇ. અને કોલેજો સહીત ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા કરી છે. સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રમાં અદ્દભૂત કામ થયું છે.
આયુષ્યમાન ભારત યોજનામાં રૂ. 5,00,000 સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે. અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટીમાં વસતા આદિવાસીઓના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવી આદિજાતિઓનો સર્વાંગી વિકાસ કર્યો છે.
દેશના 11 કરોડ ગરીબ પરિવારોને ગેસ કનેક્શન આપીને બહેનોને ધૂમાડામાંથી મુક્તિ અપાવી છે. દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. 31 ઓકટોબરના રોજ બનાસની ધરતી થરાદમાં પધારી રહ્યા છે. આ કાર્યક્રમમાં પધારવા આપ સૌને આમત્રંણ પાઠવું છું.’
From-Banaskantha update