એરબેઝમાં કેન્દ્ર સરકારે રૂ. 1,000 કરોડના ખર્ચે આધુનિક અને ટેકનોલોજી યુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી એરફોર્સ સ્ટેશન ઉભુ કરવાનો નિર્ણય કર્યો છે
બનાસકાંઠામાં ડીસાના નાણીમાં રૂ. 1,000 કરોડના ખર્ચે બુધવારે એરફોર્સ સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી કર્યું હતું.
આ પ્રસંગે નાણીમાં કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ અને રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ આ એરપોર્ટ સ્ટેશન તૈયાર થતાં દેશના પશ્ચિમ ઘાટમાં એરફોર્સની તાકાત અને દેશની સુરક્ષામાં મજબૂત વધારો થશે તેમ જણાવ્યું હતું.
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના નાણીમાં 4,500 એકર જમીનમાં વાયુ સેનાનું એરબેઝ આવેલું છે. છેલ્લા ઘણા સમયથી વિકાસની રાહ જોતાં આ એરબેઝમાં કેન્દ્ર સરકારે રૂ. 1,000 કરોડના ખર્ચે આધુનિક અને ટેકનોલોજી યુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી એરફોર્સ સ્ટેશન ઉભુ કરવાનો નિર્ણય કર્યો છે.
દેશના પશ્ચિમ ભાગનું આ પાંચમું એરફોર્સ સ્ટેશન તૈયાર થશે. જેનાથી ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ માત્ર 130 કિલોમીટર દૂર છે. જેથી સૈન્યને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં 355 કિલોમીટરની દૂરી ઓછી થશે. જયારે રીસ્પોન્સ ટાઇમમાં પણ મોટો ઘટાડો થશે અને એરપોર્ટની કનેકટીવિટીમાં વધારો થશે.
આ એરફોર્સ સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિરથી બુધવારે વર્ચ્યુઅલ ખાતમૂહુર્ત કર્યું હતું. આ પ્રસંગે નાણી એરફોર્સમાં પધારેલા કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું હતું કે, ‘જે અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા હતા.
તે અંગ્રેજોને સંરક્ષણ ક્ષેત્રે પાંચમાં નંબર પર હટાવી આપણે આગળ આવી ગયા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમાન સંભાળતાં દેશની કાયાપલટ થઇ ગઇ છે. અત્યારે મોદી હટાવોના નારા લગાવવાવાળા પણ વિદેશ જાય તો તેમનું પણ ભવ્ય સ્વાગત થાય છે.’
આ અંગે રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, ‘પશ્ચિમ ઘાટ એ ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદનો ભૌગોલિક ભાગ છે. ઉત્તર ગુજરાતમાં વાયુસેનાના મજબૂતીકરણનું આ એક અનેરું પગલું છે અને બનાસકાંઠામાં સીમા દર્શન બાદ એરફોર્સ સ્ટેશન બનતાં સંરક્ષણ ક્ષેત્રે ગુજરાત અને દેશની તાકાત વધશે
અને આંતરરાષ્ટ્રીય સીમા ઉપર વધુ સુરક્ષા વધશે. ગુજરાતમાં સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અંબાજી, સોમનાથ, અમદાવાદ-સાબરમતી અને વડનગર સહીત 7 સ્થળોએ હેલિપોર્ટ બનશે તેમ જણાવ્યું હતું.’
From-Banaskantha update