લોકોને યોગ્ય વળતર ચૂકવવા માંગ કરાઇ : વર્ષોથી વસેલા આદિવાસી લોકોની જમીન અને મકાનો તારંગા રેલ્વે લાઇન આવવાના કારણે સરકાર હસ્તક જઇ રહી છે
અંબાજીમાં ઘણા વર્ષોથી ચાલતી રેલ્વેની માંગને કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારતાં રેલ્વે લાઇનને મંજૂરી મળી હતી. ત્યારે નવરાત્રિ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રેલ્વે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું.
તારંગા આબુરોડ અંબાજી રેલ્વે પ્રોજેક્ટને લઇ દાંતા અંબાજી વિસ્તારના 15 કિલોમીટર વસવાટ કરતાં આદિવાસી જનજાતિના લોકો દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો.
અંબાજી વિસ્તારના આજુબાજુ 15 કિ.મી. ના અંતરાલમાં આવેલા આદિવાસી સમાજના લોકો એક જૂથ થઇ દાંતા નાયબ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.
તારંગા રેલ્વે પ્રોજેકટમાં અંબાજી નજીકના 15 કિલોમીટરના વિસ્તારમાં વર્ષોથી વસેલા આદિવાસી લોકોની જમીન અને મકાનો તારંગા રેલ્વે લાઇન આવવાના કારણે સરકાર હસ્તક જઇ રહી છે.
જેના કારણે આદિવાસી લોકોનું જીવન નર્ક જેવું બને તેવી સ્થિતિ સર્જાયે તેમ છે. જેને લઇને મંગળવારે અંબાજી આજુબાજુના ગ્રામ પંચાયતમાં આવતાં આદિવાસી લોકોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.
આ અંગે આદિવાસી આગેવાન કાન્તીભાઇ બુમ્બડીયા જણાવ્યું હતું કે, ‘તારંગા અંબાજી આબુરોડ રેલ્વે પ્રોજેક્ટ જે સરકારે મંજૂર કરી છે. જેમાં આદિવાસી ગરીબ લોકોની જમીન જઇ રહી છે.
ત્યારે સરકાર કોઇ પણ વિચાર કર્યાં વગર ગરીબ આદિવાસી લોકોને જમીન, ખેતર વિહોણા કરવા માંગે છે. ત્યારે અમે સરકારથી આદિવાસી લોકોની જમીનનું સારું વળતર ચૂકવે જેથી ગરીબ આદિવાસી પોતાનું ગુજરાન કરી શકે.
સરકાર અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે લોકોને જે જમીનનું વળતર ચૂકવવામાં આવ્યું છે તે વળતર અહીના ગરીબ આદિવાસીને ચૂકવવામાં આવે તેવી અમારી માંગ છે.’
આ અંગે પૂર્વ સરપંચ પુનાભાઇ દુગાઇસાએ જણાવ્યું હતું કે, ‘તારંગા હીલ રેલ્વે લાઇન આવવાના કારણે અંબાજી આજુબાજુના આદિવાસીઓની જમીન જઇ રહી છે તે નહીં જવી જોઇએ.
આદિવાસી લોકો પોતાની જમીન પર ખેતી કરી ગુજરાન ચલાવે છે. ત્યારે જમીન ગયા પછી આદિવાસી લોકોનું જીવન મુશ્કેલીમાં મૂકાઇ જશે. જેથી સરકાર આ લોકોને યોગ્ય વળતર અથવા તો બદલામાં જમીન આપે તેવી અમારી માંગ છે.’
From-Banaskantha update