અપશબ્દો બોલવા મુદ્દે થયેલી તકરારમાં શખ્સોએ મારપીટ કરી હતી : પોલીસ મથકે લુદરાના 2 અને રાધનપુરના એક શખ્સ સામે ગુનો નોંધાયો
દિયોદર તાલુકાના લુદરા ગામમાં તું કેમ ગામમાં અપશબ્દો બોલતો હતો તેમ કહી લુદરા ગામના 2 અને રાધનપુરનો એક શખ્સ ભેગા મળી યુવકને ગામના મંદિરે બોલાવી માર મારી જાનથી મારી નાખવાની
ધમકી આપતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે યુવકે દિયોદર પોલીસ મથકે 3 શખ્સો સામે ગુનો નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, દિયોદર તાલુકાના લુદરા સીમમાં રહેતાં રમેશભાઇ ઠાકોરને રવિવારે પોણા ચારેક વાગ્યાના સુમારે રાધનપુરના દેવ ગામના કલ્પેશભાઇ ઠાકોરે ફોન કરી કિરણભાઇ ઠાકોરને કહ્યું કે,
તું ગામમાં કેમ અપશબ્દો બોલતો હતો તું જોગણી માતાજીના મંદિરે સોગંદવિધી માટે આવ તેવું કહેતાં રમેશભાઇ ઠાકોર બાઇક લઇ સાંજના સુમારે માતાજીના મંદિરે ગયેલા હતા. તે દરમિયાન દિયોદર
તાલુકાના લુદરા ગામના કિરણભાઇ મનુભાઇ ઠાકોર, જગદીશભાઇ રાજાભાઇ ઠાકોર અને પાટણ જીલ્લાના રાધનપુરના દેવ ગામના કલ્પેશભાઇ વિરમભાઇ ઠાકોર કહેવા લાગેલ કે, તમે કેમ અપશબ્દો બોલ્યા હતા.
જેથી રમેશભાઇ ઠાકોરે કહ્યું કે, હું કોઇ અપશબ્દો બોલેલ નથી અને બોલેલ હોય તો માતાજીની સોગંદ ખાઇ લો એવું કહેતાં ત્રણેય શખ્સો લોખંડની પાઇપ અને સળીયા વડે આડેધડ મારવા લાગ્યા હતા અને સદાભાઇ ઠાકોર વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યા હતા.
જયારે ત્રણેય શખ્સો જતાં જતાં કહેવા લાગ્યા કે, આજે તો તમને જીવતા જવા દઇએ છીએ પરંતુ અમારા વિશે એક પણ શબ્દ બોલવાની હિંમત કરતો જાનથી મારી નાખીશું તેમ કહી બાજુમાં પડેલ બાઇક નં.
GJ-08-AN-4250 માં આગ ચાંપી હતી અને સળગાવી નાખી નુકશાન કર્યું હતું. આ અંગે રમેશભાઇ ઉદાભાઇ ઠાકોરે ત્રણેય શખ્સો સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update