વડગામના માહી ગામના ત્રણ સગાભાઈઓએ નજીકના સગા પાસેથી ખેતીની જમીન ડેવલોપ કરી બિનખેતી કરી જમીન વેચાણથી આપવાનું કહી રૂ.1 કરોડ લઈ જમીન નામે ન કરી આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પીડિત શિક્ષકે રવિવારે ત્રણ ભાઇઓ વિરુદ્ધ છાપી પોલીસ મથકે છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવે ચકચાર મચી ગઇ હતી. વડગામ તાલુકાના પેપોળ ગામના રહેવાસી અને છાપી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા સિકંદરખાન દાદામીયા તુવર પાસે તેમના દૂરના સગા અને માહી ગામના રહેવાસી ત્રણ ભાઇઓ દ્વારા પીરોજપુરા એપ્રોચ રોડ ઉપર આવેલ ખેતીની જમીન ડેવલોપ કરી બિનખેતીની કરી રૂ. 285ના ભાવે વેચાણથી આપવાનું કહી શિક્ષક પાસેથી ટુકડે ટુકડે ઓનલાઈન, ચેકથી તેમજ રોકડ મળી કુલ રૂપિયા 1,12,71,000 લીધા બાદ જમીન ડેવલોપ કરી બિનખેતી કરી હતી.
દરમિયાન જમીનનો દસ્તાવેજ કરવાનું કહેતા આનાકાની કરી જમીનનો દસ્તાવેજ આજે પણ નહીં થાય અને કાલે પણ નહીં થાય તેવું કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા છેતરપીંડીનો ભોગ બનનાર શિક્ષકે મહેમુદખાન આલમખાન વેસ, અબ્બાસખાન આલમખાન વેસ અને બીસ્મિલ્લાહખાન આલમખાન વેસ (ત્રણેય રહે . માહી તા. વડગામ)વિરુદ્ધ છાપી પોલીસ મથકે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.
From – Banaskantha Update