યુવકને સામાન્ય બોલાચાલીમાં માથામાં પથ્થર મારી હત્યા કરી હતી
દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં ખેતરે જવા નીકળેલા યુવકની હત્યા મામલામાં સ્થાનિક પોલીસે એક હત્યારાને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
ડેરી ગામના ગણેશજી પાંચાજી રબારી (ઉં.વ. આ. 35) બુધવારે રાત્રે ઘરેથી વાળુ કરી ખેતરમાં વાવેતર કરેલ બાજરીનું રખોપું કરવા નીકળ્યા હતા.
તે દરમિયાન મોડી રાત્રે એક શખ્સ ગણેશજી રબારીની લાકડાના ધોકા અને પથ્થર માથાના ભાગે મારી હત્યા કરી ફરાર થઇ ગયો હતો.
જે બાદ ઘટનાસ્થળે દાંતીવાડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.એસ.આઇ. સ્નેહીત દેસાઇ પહોંચી એફ.એસ.એલ. અને ડોગ સ્કોડની મદદ લઇ તપાસ હાથ ધરી હતી.
પી.એસ.આઇ. સ્નેહીત દેસાઇ અને પોલીસ ટીમે હત્યા કરનાર આરોપી ગોપાળનાથ ઉર્ફે ભોપો પોપટનાથ નાથ (રહે. ડેરી, તા. દાંતીવાડા) ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો.
ઝડપાયેલા આરોપી ગોપાળનાથની વધુ પૂછપરછ હાથ ધરતાં અંગત કારણોસર દિવસે સામાન્ય બોલાચાલી થઇ હતી. જેથી મોડી રાત્રે માથાના ભાગે પથ્થર અને લાકડાના ધોકા વડે હુમલો કરી હત્યા કરાઇ હોવાનું કબૂલ્યું હતું.
From-Banaskantha update