સૌથી વધુ 2,10,270 હેક્ટર વિસ્તારમાં વિવિધ ઘાસચારાનું વાવેતર થયું છે
બનાસકાંઠા જીલ્લામાં ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં સૌથી વધુ ઘાસચારાનું વાવેતર જોવા મળી રહ્યું છે. શરૂઆતમાં સતત વરસાદને લઇ મગફળી સહીતના અન્ય પાકોનું વાવેતર થઇ શક્યું ન હતું.
જેના કારણે શિયાળાની ઋતુમાં પશુપાલકો માટે ઘાસચારાની મોટી તંગી જોવા મળશે તેવી શક્યતાઓ હતી પરંતુ પાછોતરા જુવાર, રજકા બાજરી સહીતના ઘાસચારાનું વાવેતર વધતાં પશુપાલકો મોટી રાહત મળી છે. જીલ્લામાં સૌથી વધુ 2,10,270 હેક્ટર વિસ્તારમાં વિવિધ ઘાસચારાનું વાવેતર થયું છે.
આ અંગે કેટલાંક પશુપાલકોએ જણાવ્યું હતું કે, ‘શિયાળાની ઋતુ દરમિયાન દર વર્ષે બનાસકાંઠા જીલ્લામાં ઘાસચારાની મોટી તંગી ઉભી થતી હોય છે.
જેને લઇ શિયાળાની ઋતુમાં સૂકા ઘાસના ભાવ આસમાને પહોંચી જતાં હતા પરંતુ આ વર્ષે જીલ્લામાં સૌથી વધુ ઘાસચારાનું વાવેતર થયું છે. જેથી સૂકા ઘાસની શિયાળામાં અછત ઓછી વર્તાશે.’
આ અંગે કેટલાંક ખેડૂતોને જણાવ્યા પ્રમાણે, ‘આ વર્ષે બનાસકાંઠા જીલ્લામાં અષાઢ અને શ્રાવણ માસમાં સતત વરસાદ વરસતાં ખેતીના પાકોમાં મગફળી સહીત અન્ય પાકોનું વાવેતર ઓછું થવા પામ્યું છે.
સતત વરસાદને લઇ વાવેતર થઇ શક્યું ન હતું પરંતુ પાછળથી વરસાદે વિરામ લેતાં પાછોતરા ઘાસચારાનું વાવેતર વધ્યું છે.’
From-Banaskantha update