નવરાત્રીના પ્રારંભે નીજ મંદિરમાં વૈદીક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન અને જવારા વિધી યોજાઇ
અંબાજીમાં નવરાત્રીના પ્રારંભે નીજ મંદિરમાં ઘટ સ્થાપન વિધી યોજાઇ હતી. એક માઇભક્તે રૂ. 1,37,000 નો સુવર્ણ હાર સહીત રૂ. 1,00,000 રોકડનું દાન કર્યું હતું.
પ્રથમ નોરતે 1,00,000 થી પણ વધુ માઇભક્તો માં અંબાના દર્શન કરી પાવન બન્યા હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું.
નવરાત્રીના પ્રારંભે શક્તિ ધામ અંબાજીમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓથી ઉભરાયું હતું. જેને લઇ વહેલી સવારથી જ દર્શનાર્થીઓનો ઘસારો મંદિરમાં જોવા મળ્યો હતો.
તે દરમિયાન 10 વાગ્યાના સુમારે શુભ મૂહુર્તમાં માતાજીના નીજ મંદિર સભા મંડપમાં પ્રાચીન પ્રણાલી અને શાસ્ત્રોક્ત વિધી વિધાન મુજબ વૈદીક મંત્રોચ્ચાર સાથે માતાજીના આહવાન રૂપે ઘટ સ્થાપન અને
જવારા વાવવામાં આવ્યા હતા. પૂજારી ભટ્ટજી મહારાજ દેવાંગભાઇ ઠાકરના હસ્તે પૂર્ણ કરાયું હતું. ઘટ સ્થાપનમાં યજમાન પદે મંદિર ટ્રસ્ટના વહીવટદાર આર. કે. પટેલે પૂજા વિધી સંપન્ન કરી હતી.
નવરાત્રીનું ખાસ કરીને શક્તિ ઉપાસકો માટે મહત્વનું હોઇ અંબાજી ધામ અને મંદિર હકડેઠઠ શ્રદ્ધાળુઓથી ઉભરાયું હતું. પ્રથમ નોરતે 1,00,000 થી પણ વધુ શક્તિ ઉપાસકોએ માં અંબાના દર્શન કરી ધન્યતા
અનુભવી હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું. બનાસકાંઠાના ગ્રામિણ વિસ્તારોમાં પ્રથમ નોરતે સવારે શુભ મૂહુર્તમાં માતાજીની માંડવડીયોની ચાચર ચોકમાં સ્થાપના કરાઇ હતી.
શક્તિ ઉપાસના પર્વ શરદીય નવરાત્રીના પાવન દિવસો દરમિયાન માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.
આ અંગે અંબાજી મંદિર પૂજારી ભટ્ટજી મહારાજ દેવાંગભાઇ ઠાકરે જણાવ્યું હતું કે, ‘નવરાત્રીના પ્રારંભે નીજ મંદિરમાં માં શક્તિનું આહવાન સ્વરૂપ ઘટ સ્થાપન કરવા સાથે 9 દિવસ માતાજીની વિશેષ પૂજા-અર્ચના
કરવામાં આવે છે. આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય થાય તે માટે ખાસ નવદુર્ગાની ઉપાસના સાથે 9 દિવસ દરમિયાન નિત્ય માતાજીના ભોગમાં પણ વિવિધ વાનગીઓ પીરસવામાં આવે છે.
આઠમના દિવસે માતાજીને ફળાહાર સાથે નોમના દિને કુંવારી કન્યાઓને ભોજન અને દશેરાના અઢાર થાળ ધરાવવામાં આવે છે.
તે સાથે મંદિર પૂજારી દ્વારા સંપૂર્ણ ભ્રહ્મચર્યનું પાલન કરી 9 દિવસમાં નવદુર્ગાનું અનુસ્થાન ઉપવાસ અને ઉપાસના સાથે કરવામાં આવતી હોવાની પ્રાચીન પરંપરા આજે પણ નિભાવાય છે.’
From-Banaskantha update