દિયોદરના રવેલથી જાડાના માર્ગ પર ગુરૂવારે બપોરના સમયે આઇસર ટ્રકના ચાલકે સામેથી આવતા બાઇકને ટક્કર મારતાં બાઇક ચાલક યુવકને ગંભીર ઇજાઓ થતા મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના સગાએ દિયોદર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
દિયોદર તાલુકાના રવેલ ગામના સુરેશભાઈ બળવંતજી ઠાકોર (ઉં.વર્ષ.20) ગુરુવારે બપોરે બાઇક (GJ-02-AQ-4699) લઈને રવેલથી જાડા તરફ જતા હતા. ત્યારે સામથી આવી રહેલ આઈસર ટ્રક (GJ-16-AU-6689)ના ચાલકે બાઈકને ટક્કર મારી હતી.
ટક્કર મારતા બાઇક ચાલકને પગના, પેટના ભાગે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક 108 મારફતે દિયોદર ખાનગી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ડીસા ખસેડાતાં ડીસાના તબીબે મૃત જાહેર કરતાં પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આ અંગે દશરથભાઈ અણદાભાઇ ઠાકોરએ દિયોદર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકની લાશનું દિયોદર રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરી લાશ મૃતકના વાલીવારસોને સોંપી હતી.
મૃતક યુવક સુરેશભાઈ ઠાકોરના એક માસ અગાઉ લગ્ન થયા હતા. યુવાન દીકરાના મોતના સમાચાર સાંભળી પરિવારજનો માટે આભ ફાટ્યું હતું.
From – Banaskantha Update